
- નાકરાવાડીમાં 28 વર્ષની મહિલાએ સવારના પહોરમાં બે દિકરાઓ સાથે મોત વ્હાલું કરતા અરેરાટી
- પોતાને નહીં પણ માતાને એક વાર બોલાચાલી થયાનું પતિનું પોલીસમાં નિવેદન, તપાસ ચા
રાજકોટના નાકરાવાડીમાં આજે સવારે 28 વર્ષની એક મહિલાએ તેના બે માસૂમ પુત્રો સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. ત્રણ જણાના સામૂહિક આપઘાતની ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. કુવાડવા પોલીસ અને DCP સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પ્રાથમિક તબક્કે ગૃહકંકાશમાં મહિલાએ આ અંતિમવાદી પગલું ભર્યાનું મનાય છે. મૃતક મહિલાના પતિ-સાસુની પોલીસે પૂછપરછ કરી છે.


7 અને 4 વર્ષના પુત્ર સાથે માતાના અગ્નિસ્નાનથી અરેરાટી
રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટનામાં મૃતક મહિલાની ઓળખ દયાબેન વિજયભાઇ ડેડાણિયા (28) તરીકે કરાઈ છે. જ્યારે મહિલાએ જે બે પુત્રોની સાથે અગ્નિસ્નાન કર્યું તેમની પુત્ર મોહિત (7) અને ધવલ (4) તરીકે ઓળખ કરાઈ છે. સવારના પહોરમાં મહિલા અને તેના બે બાળકોની ચીસોથી આસપાસના વિસ્તારમાં પણ ભયાવહતા વ્યાપી ગઈ હતી.


પૂછપરછમાં પતિએ કહ્યું- મારે કોઈ અણબનાવ નહોતો
પોલીસે આ ઘટના અંગે મૃતક મહિલાના પતિ વિજય ડેડાણિયાની પૂછપરછ કરી હતી. જો કે, પૂછપરછમાં વિજયે પોલીસને નિવેદન આપ્યું હતું કે મારે ક્યારેય મારી પત્ની સાથે બોલાચાલી થઈ નથી. હા, એકવાર મારી માતાને બોલાચાલી થઈ હતી. પરંતુ તેમને બિલકુલ કલ્પના નહોતી કે તેમની પત્ની કોઈ પણ સંજોગોમાં આવી રીતે તેમના બે નાના બાળકો સાથે અગનપછેડી ઓઢીને મોતને વ્હાલું કરી દેશે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધુમાડાના ગોટેગોટા વસાહતમાં ફેલાઈ ગયા
દયાબેને ઘરનું બારણું અંદરથી બંધ કરીને પોતાને તથા બાળકોને આગ લગાડ્યાનું અનુમાન છે. આમ થતાં જ મહિલા અને બાળકો ઘરની અંદર જીવતાં ભૂંજાવા લાગ્યાં હતાં. પ્રચંડ આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ઘરમાંથી આગના ધુમાડાના ગોટેગોટા બહાર ફેલાઈ ગયા હતા. આગને કારણે ઘરમાંની ઈલેક્ટ્રિકની ચીજવસ્તુઓ, અનાજ, જરૂરી કાગળો પણ બળીને ખાખ થઈ ગયા હતા.

5 મહિના પહેલાં માતાનું અગ્નિસ્નાન
ઉલ્લેખનીય છે કે આજથી 5 મહિના પહેલાં મોરબીના રવાપર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતી એક 52 વર્ષની આધેડ મહિલાએ ઘરમાં જ સળગી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે આપઘાત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. મૃતકનાં ત્રણ સંતાન હોઈ અને તે ત્રણેય માનસિક બીમાર હતાં, જેમની યોગ્ય કાળજી ન રાખી શકતા હોવાથી લાગી આવ્યું હતું અને આ પગલું ભર્યું હોવાનું ખૂલ્યું હતું.

