
- મલ્ટીપલ ઈન્જરીને કારણે પોરબંદરના યુવાનનું મોત
- ઉદ્યોગનગર પોલીસ મથકે યુવાનનું મોત નિપજ્યું, કોના મારથી યુવાનનું મોત થયું તે રહસ્ય ઘુંટાયું
પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા એક યુવાનને મંદિરમાં ચોરી કર્યાની શંકા રાખી ટોળાએ માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. બાદ દોઢેક કલાકમાં ઉદ્યોગનગર પોલીસ મથકે યુવાનનું મોત નિપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં મલ્ટીપલ ઈંજરીને કારણે યુવાનનું મોત થયાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે કોના મારથી યુવાનનું મોત થયું તે રહસ્ય ઘુંટાયું રહ્યું છે.
યુવાન ફિનાઇલ એસિડ વેંચીને ગુજરાન ચલાવતો
પોરબંદરના નવા કુંભારવાડા શેરી નં 16માં રહેતો શ્યામ કિશોરભાઈ બથિયા નામનો 26 વર્ષીય યુવાન ફિનાઇલ એસિડ વેંચીને ગુજરાન ચલાવતો હતો. આ યુવાનને જન્મજાત મગજમાં ગાંઠ હોવાથી આ યુવાન માનસિક રીતે અસ્થિર હતો. આ યુવાન ગઇકાલે બોખીરા વિસ્તારમાં એસિડ ફિનાઇલ વેચવા માટે સાયકલ લઈને ગયો હતો અને બોખીરા હાઇવે પર આવેલ વાછરાડાડા મંદિરે પહોંચ્યો હતો.
યુવાનને કેટલાક લોકોના ટોળાએ પુરછપરછ કરી માર માર્યા
જ્યા ચોરી થયાની શંકા રાખી આ યુવાનને કેટલાક લોકોના ટોળાએ પુરછપરછ કરી માર માર્યા હતો અને બાદ ફોન કરી પોલીસને બોલાવી યુવાનને સોંપી દીધો હતો. આ યુવાનને ઉદ્યોગનગર પોલીસ મથકે ગઇકાલે બુધવારે બપોરે 3 વાગ્યે લાવ્યા હતા અને સાંજે 5 વાગ્યા સુધીમાં આ યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
યુવાનનું મોત થયું છે તે અંગે રહસ્ય ઘુંટાયું
યુવાનના શરીરે ઈજાના નિશાન હતા જેથી યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર લઈ ગયા હતા. રિપોર્ટ મુજબ મલ્ટીપલ ઈંજરીને કારણે પોરબંદરના યુવાનનું મોત થયાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિક ટોળાના મારને કારણે મોત થયું છેકે પોલીસ મથકે માર મારતા યુવાનનું મોત થયું છે તે અંગે રહસ્ય ધુંટાઇ રહ્યું છે.
મહત્વના મુદ્દા પર લોકચર્ચા
ઉદ્યોગનગર પોલીસ મથકે આ યુવાનને લાવ્યા બાદ દોઢ થી બે કલાકમાં આ યુવાનનું મોત નિપજ્યું છે ત્યારે જો યુવાનના શરીરે ઈજાના નિશાન હતા તો પોલીસ આ યુવાનને સારવાર માટે શા માટે હોસ્પિટલ ખાતે ન લઈ ગઈ? મલ્ટીપ્લ ઇંજરી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે ત્યારે ટોળાના મારથી કે પછી પોલીસના મારથી આ યુવાનનું મૃત્યુ થયું છે? યુવાનના મોત બાદ જ યુવાનના પરિવારને જાણ કરવામાં આવી હતી તો વહેલી જાણ શા માટે ન કરી સહિતના મુદ્દા પર લોકચર્ચા થઈ રહી છે.
શું કહે છે તપાસ અધિકારી?
પીએમ રિપોર્ટમાં મલ્ટીપલ ઇંજરીના કારણે યુવાનનું મોત થયાનું સામે આવ્યું છે ત્યારે યુવાનના પિતાની ફરિયાદ લેવામાં આવશે અને યુવાનને મંદિરમાં માર માર્યા છે તેના પુરાવા પોલીસ પાસે છે જેથી મંદિરમાં યુવાનને માર મારનાર વ્યક્તિઓ સામે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવશે. એચ.કે. શ્રીમાળી, પીઆઈ, એલસીબી, તપાસ અધિકારી, પોરબંદર

