બાળકોના ભવિષ્યનું શું?:મેઘરજના નવાગામ કસાણાની ગોધા શાળામાં ઓરડાની અછત, ભૂલકાઓ મંદિરમાં બેસીને ભણવા મજબૂર

By Abhishek Raghuvanshi
2 Min Read

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કસાણા નજીક આવેલી નવાગામ ગોધાફળીયા પ્રાથમિક શાળામાં શાળાના ઓરડાઓના અભાવે બાળકો ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા છે.

ગુજરાતના ગામડાઓમાં શીક્ષણની અવદશા
આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં શાળાના બાળકો ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ખુલ્લામાં બેસી ભણવા મજબુર છે. મેઘરજ તાલુકામાં આવેલા કસાણા નજીક આવેલી નવાગામ ગોધાફળીયા પ્રાથમિક શાળા નંબર 2 માં ધોરણ 1 થી 8 માં કુલ 120 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને બેસવા માટે શાળા પાસે હાલ માત્ર ત્રણ ઓરડા છે. જેમાં એકમાં માલસામાન ભર્યો છે. જ્યારે બે ઓરડામાં ધોરણ 1 થી 5 ના બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. જેના પગલે શાળામાં ઓરડા અભાવે ધોરણ 6 થી 8 ના બાળકો માટે ગામથી 1 કિલોમીટર દૂર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. પરંતુ આ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બાળકોને પૂરતી બેસવાની વ્યવસ્થાના અભાવે બહાર ખુલ્લામાં બેસી ભણવા મજબુર બનવું પડી રહ્યું છે.

બોળકો ખુલ્લામાં બેસી ભણવા મજબૂર
સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ધોરણ 6 થી 8 ના કુલ 60 જેટલા બાળકો ભણવા આવે છે. આ બાળકોને બેસવાની મંદિરમાં પણ પૂરતી વ્યવસ્થા નહિં હોવાના કારણે બાળકોને મંદિરની બહાર ખુલ્લામાં બેસી ભણવું પડી રહ્યું છે. ખુલ્લામાં ઉપર છત નહિં હોવાના કારણે ઉનાળામાં તાળકો શિયાળામાં ઠંડી અને ચોમાસામાં પાણીથી બાળકો પરેશાન થઇ જાય છે. ખુલ્લામાં બ્લેક બોર્ડ અભાવે બાળકો ગણિત જેવા વિષયો પણ કેવી રીતે ભણી શકે તે મોટો સવાલ છે. ત્યારે આવી સ્થિતિમાં ભણતા બાળકો તંત્ર પાસે શાળાના ઓરડા ઈચ્છી રહ્યા છે.

બાળકોને ભણવું છે પણ છત વિહોણા બાળકો છેલ્લા બે વર્ષથી તંત્રના પાપે આજદિન સુધી શાળાના ઓરડા વગર ખુલ્લામાં બેસી પોતાના જીવનનું ઘડતર કરી રહ્યા છે. ગામથી એક કિલોમીટરના અંતરે આવેલું મંદિર સુધી બાળકોને ચાલીને જવું પડે છે. ત્યારે ભણતર મેળવવા અનેક મુશ્કેલીઓ વચ્ચે ભણતા આ બાળકો તંત્રના આદર્શ શાળા, સૌ ભણે સૌ આગળ વધે જેવા જુદા જુદા સ્લોગનો સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું આમ ભણશે ગુજરાત?

- Advertisement -
Exit mobile version