
- ‘પોલીસની દાદાગીરી નહીં ચાલે’ ના સૂત્રોચ્ચાર કર્યા
રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવે છે જ્યાં ગૌપાલક સંઘના કાર્યકર છોટુ ગામરાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યાના આક્ષેપ સાથે ગૌપાલક સંઘના અન્ય ત્રણ કાર્યકરો દ્વારા શહેરના રૈયા ચોકડી પાસે પર અર્ધનગ્ન બની યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ વિરોધ દર્શાવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને એ પહેલા ત્રણેય કાર્યરકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
છોટુ ગામરા સારવાર હેઠળ છે
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત 25 માર્ચની રાત્રીએ રાત્રી કર્ફ્યુ લાગુ થયા બાદ શક્તિ હોટેલ નજીક ગૌપાલક સંઘના કાર્યકર છોટુ ગામરા આકાશવાણી ચોક પાસે ઉભો હતો એ વખતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI અજીત ચાવડા અને બે પોલીસકર્મી ત્યાં આવ્યા હતા અને છોટુ ગામરાને તમાચો મારીને ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો અને અજીત ચાવડા અને બે પોલીસકર્મી દ્વારા તેને ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના CCTV પણ વાયરલ થયા છે હાલ છોટુ ગામરા સારવાર હેઠળ છે.

‘પોલીસની દાદાગીરી નહીં ચાલે’ ના સૂત્રોચ્ચાર કર્યા
આ બનાવને પગલે ગૌપાલક સંઘના કાર્યકરો દ્વારા આજે રૈયા ચોકડી પાસે વિરોધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યકરો દ્વારા અર્ધનગ્ન બની યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ ‘પોલીસની દાદાગીરી નહીં ચાલે’, ‘દારૂના ધંધાર્થીઓને પકડો’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પણ આ આંદોલન ઉગ્ર બને એ પહેલા પોલીસ દ્વારા ત્રણેય કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે ‘અમે આટલાથી અટકીશું નહીં’ તેવા સૂત્રોચ્ચાર પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા.

