
સાતમ-આઠમના તહેવારને લઈને સુરત ST વિભાગ દ્વારા બે દિવસ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમ-આઠમ પર 100 જેટલી વધારાની બસો દોડાવાશે. જોકે, લોકોનો ઘસારો જોવા મળશે તો વધુ પણ મૂકવામાં આવશે. આ સાથે જ ગ્રુપ બુકિંગ પણ ચાલી રહ્યું છે.
ST દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન
આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને સુરત એસ.ટી.નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખી, મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

6 અને 7 સપ્ટેમ્બરે એક્સ્ટ્રા બસ દોડાવાશે
આ અંગે વિભાગીય નિયામક પીવી ગર્જરે જણાવ્યું કે, સાતમ-આઠમ જેવા તહેવારોમાં અનેક લોકો મુસાફરી કરતાં હોય છે. ત્યારે તેઓને અગવડતા ન પડે તે માટે આગામી 6 અને 7 સપ્ટેમ્બર સાતમ-આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ તો 50થી 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. જોકે, મુસાફરોની ઘસારો જોવા મળશે તો વધુ બસો મૂકવામાં આવશે.

એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ
ધસારાને પહોંચી વળવા માટે તેમજ લોકોને હાલાકી ન પડે અને સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા દર વર્ષ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. હાલ પણ એક્સ્ટ્રા બસો મુકાઈ છે. એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જેનો મહત્તમ મુસાફરો લાભ લઈ રહ્યાં છે, ત્યારે હજુ પણ તહેવારોમાં મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસ સર્વિસનું સંચાલન હાથ ધરાશે.

મુસાફરોને ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ
સાતમ આઠમ તહેવાર પર સાથે સાથે સુરત એસ.ટી. ગ્રુપ બુકિંગ પણ શરૂ કર્યું છે. કોઈ 50 મુસાફરોનો ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવુ પડશે. આ બસ તેમના ગામ કે ઘર સુધી લઈ જવામાં આવશે.

રક્ષાબંધન પર 2.70 લાખ પેસેન્જર્સે લાભ લીધો
સુરત એસટી વિભાગને રક્ષાબંધન પર એક્સ્ટ્રા બસોથી 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી. રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે દિવસમાં 2.70 લાખ પેસેન્જર્સે એસટી બસનો લાભ લીધો હતો. આ બે દિવસમાં સુરત એસટી નિગમને 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

