
અમદાવાદથી રામેશ્વરમ્ તીર્થયાત્રા માટે ગયેલા મોટી સંખ્યામાં પેસેન્જરોને સલેમ સ્ટેશને ઉતારી દેવાતા હાલાકી ભોગવવી પડી હતી. અમદાવાદથી આવેલી ટ્રેનની આગળની મુસાફરી કેન્સલ કરી હોવાની રેલવે દ્વારા સેલમ સ્ટેશને જાહેરાત કરાઈ હતી. આ ટ્રેન કેન્સલ થતા પેસેન્જરોએ ખાનગી બસથી આગળની 400 કિ.મી.ની મુસાફરી કરવી પડી હતી.
આ વિશે વધુ માહિતી આપતા ઉલ્લાસબા વાઘેલાએ જણાવ્યું કે, તેઓ અન્ય 20 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓ સાથે રામેશ્વરમ યાત્રા કરવા 21મીએ સાંજે 5.40 કલાકે અમદાવાદથી ટ્રેનમાં બેઠા હતા. આ ટ્રેન ગુરૂવારે સાંજે રામેશ્વરમ પહોંચે તે પહેલા બપોરે લગભગ 12 કલાકે સલેમ સ્ટેશનેથી ટ્રેન કેન્સલ કરી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ પેસેન્જરોને ઉતારી દેવાયા હતા.
વધુમાં ત્યાંથી આગળની મુસાફરી માટે અન્ય કોઈ ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી આ તમામ પેસેન્જરોને ત્યાંથી નાછૂટકે ખાનગી બસમાં વધારાનો ચાર્જ ચુકવી મુસાફરી કરવાની ફરજ પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, સલેમ સ્ટેશને કોઈ રેલવે કર્મચારી જવાબ આપવા તૈયાર ન હતો. કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે, આગળની મુસાફરીના નીકળતા તમારા પૈસા પાછા મળી જશે.
