અમદાવાદ શહેરમાં ભલભલાને ગોથે ચડાવી દે એવી ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ શહેરના ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની હોસ્પિટલમાં માતા-દીકરીના ડબલ મર્ડર કેસમાં પણ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં પોલીસ જેટલી ઊંડી ઊતરે છે એટલી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કર્ણ હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનસુખ ભારતીબેન (35) અને તેની માતા ચંપાબેનની હત્યાના આરોપમાં ઝડપાઈ ગયો છે. મનસુખ સસ્તામાં ઓપરેશન કરવાની લાલચ આપીને દર્દીઓને વહેલી સવારે બોલાવતો હતો, પરંતુ આ આખી ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
દેવું થઈ જતાં લોકોના જીવ સાથે રમત રમવાનું શરૂ કર્યું
અમદાવાદના ભૂલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે કાનની સમસ્યા માટે ગયેલાં દીકરી અને માતાનું સસ્તામાં ઓપરેશન કરવાનું કહીને મનસુખે એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને પહેલા દીકરીને મારી નાખી, ત્યાર બાદ તેની માતાને પણ મોતને ઘાટ ઉતારી હતી. આ સમગ્ર મામલે પોલીસે મનસુખની ધરપકડ કરી હતી. મનસુખ પોતે ખૂબ જ દેવાદાર થઈ ગયો હતો અને તેણે આ દેવું ચૂકતે કરવા માટે રૂપિયાની જરૂર હતી, જેથી તેણે લોકોના જીવ સાથે રમત રમવાનું શરૂ કર્યું હતું. સામાન્ય નોકરીમાં મહિને માંડ 6000 રૂપિયા કમાતો મનસુખ ડોક્ટરની ગેરહાજરીમાં રોજ બેથી ત્રણ હજાર રૂપિયા કમાઈ લેતો હતો. આ રૂપિયાથી તે પોતાનું દેવું ભરતો હતો. આ સમગ્ર મામલે પોલીસ જ્યારે મનસુખની પૂછપરછ કરી રહી હતી ત્યારે ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવવા લાગી હતી.
પરિવારનો સારવાર ખર્ચ કાઢવા દર્દીઓનો જીવ જોખમમાં મૂક્યો
મનસુખને તેના પરિવારમાં બાળક અને પત્નીના મેડિકલ ખર્ચ માટે સાતથી આઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. જે તેણે તેના પોતાના મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈને ચૂકવ્યો હતો, પરંતુ ધીમે ધીમે એકના રૂપિયા બીજાને ચૂકવવા જતાં તે દેવાંના ચક્કર ફસાઈ ગયો હતો. હવે તેની પાસે ડોક્ટરની ગેરહાજરીમાં રોકડી કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો અને તે ડોક્ટર જ્યારે ગેરહાજર હોય ત્યારે સીસીટીવી કેમેરા બંધ કરીને દર્દીઓને બોલાવીને જેમ તેમ સારવાર કરી દેતો હતો. હવે પોલીસ પણ ડોક્ટરની ગેરહાજરીમાં મનસુખ કઈ રીતે સારવાર કરતો હતો એની પૂછપરછ કરી રહી હતી અને એક પછી એક રહસ્યો ખૂલતાં પોલીસ પણ ચોંકી ગઈ છે, કારણ કે જ્યારે મનસુખ પાસે કોઈ વ્યક્તિ સારવાર માટે આવે તો તે તેની ગરજ અને સ્થિતિ જોઈને ડોક્ટરથી ખૂબ જ ઓછી રકમમાં સારવાર કરવાની તૈયારી બતાવતો હતો.

ડોક્ટરે 1.50 લાખ ખર્ચ કહેતાં મનસુખનું દિમાગ દોડવા લાગ્યું ને શિકાર શોધી લીધો
મનસુખ એક દિવસ ક્લિનિકમાં હાજર હતો ત્યારે દિવસ દરમિયાન ડોક્ટરને બતાવવા માટે એક નાના બાળકને લઈને તેનાં માતા-પિતા આવ્યાં હતાં. આ બાળકને નાકમાંથી લિક્વિડ બહાર નહોતું આવતું, જેને કારણે સમગ્ર પ્રવાહી કાનમાં ભરાતું હતું. આ એક જટિલ ઓપરેશન હતું, એ માટે ડોક્ટરે તેની પાસે દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ કહ્યો હતો, પરંતુ પરિવાર આ ખર્ચ ઉઠાવવા સક્ષમ ન હોવાથી મનસુખે એમાં પોતાનો શિકાર શોધી લીધો હતો. તેણે બાળકનાં માતા-પિતાને જણાવ્યું કે હું તમને આ ઓપરેશન 30 હજાર રૂપિયામાં કરી આપીશ. ખરેખર આ ઓપરેશન ખૂબ જ જટિલ છે, પણ હું તમને આ ઓપરેશન સસ્તામાં કરી આપીશ.
હવે શિકાર મનસુખના મોંમાં આવી ગયો હતો
આ સાંભળીને બાળકનાં માતા-પિતાને થોડી રાહત થઈ હતી. બીજા દિવસે બાળકને લઈને માતા-પિતા મનસુખ પાસે પહોંચ્યા હતા. મનસુખે બાળકની નાકની જટિલ સર્જરી કરીને 30000 રૂપિયા લઈ લીધા હતા અને આશ્ચર્યની વાત તો એ છે કે આ સર્જરી સફળ પણ રહી હતી. ત્યાર બાદ મનસુખનું ડોક્ટર કરતાં પણ મોટું નામ થઈ ગયું અને લોકો તેના વિશે ચર્ચા કરવા લાગ્યા હતા. માત્ર એટલું જ નહીં, આ સફળ સર્જરીને કારણે ડોક્ટરની ગેરહાજરીમાં દર્દીઓ પણ ટ્રીટમેન્ટ કે ઓપરેશન કરાવવા માટે આવવા લાગ્યા હતા.

હોસ્પિટલમાં હત્યાકાંડ કેવી રીતે થયો?
અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં એક જ દિવસમાં બે મહિલાની લાશ મળી આવી છે. પહેલી લાશ ગેસ મૂકવાના કબાટમાં, એટલે કે ખાનામાં સંતાડી હતી, પરંતુ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. ત્યારે બીજી લાશ ક્લિનિકની અંદર આવેલા કન્સલ્ટિંગ બેડની નીચેથી મળી આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસને પહેલાંથી મનસુખ નામની વ્યક્તિ પર શંકા હતી, પરંતુ કેમ એકસાથે બે મહિલાની હત્યા થઈ એ પોલીસને પગેરું મળતું નહોતું. પોલીસે મનસુખ અને અનેક સોર્સ પાસેથી વિગતો મેળવવાની તપાસની શરૂઆત કરી, ત્યારે આખો મામલો મનસુખનાં દેવાંથી શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. મનસુખ દેવાદાર હતો અને તેને રૂપિયાની જરૂર હતી. એટલા માટે તે રોજ સવારે પોતે જ ક્લિનિકમાં ડોક્ટરની જેમ પહોંચી જતો હતો અને ત્યાં આવતા દર્દીઓને ઓછા રૂપિયામાં ઓપરેશન કરી આપતો હતો, પરંતુ આ દિવસે શું થયું એનું દિવ્ય ભાસ્કર દ્વારા એક્સક્લૂસિવ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે, જેમાં હકીકતનો પર્દાફાશ થયો છે. મનસુખ શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતો હતો. તેને અનૈતિક પ્રકારના વિચારો પણ આવતા હતા, પરંતુ તે શારીરિક સક્ષમ ન હોવાની વાતો વ્યક્ત થઈ હતી એવું પોલીસ માની રહી હતી. જેની હત્યા થઈ તે ભારતી પોતાના પતિથી અલગ રહેતી હતી અને તે તેની માતા ચંપાબેન સાથે ખૂબ નજીક હતી. ભારતીને એનેસ્થેસિયા અપાયું ત્યારે પહેલાંથી જ પ્લાન મુજબ એક કલાક પહેલાં મનસુખે સીસીટીવી બંધ કરી દીધા હતા.
મનસુખ પાસે 15 વર્ષનો અનુભવ
ભારતીને કાનમાં તકલીફ હતી, એટલે તે રોજ પોતાની સારવાર માટે માતાને કહેતી હતી. આ વિસ્તારમાં ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ નામની આંખ-નાક-ગળાની હોસ્પિટલ આવેલી છે. એ હોસ્પિટલમાં મનસુખ નામનો કમ્પાઉન્ડર છેલ્લાં 15 વર્ષથી કામ કરે છે. ભારતીબેન અને ચંપાબેન બંને કર્ણ હોસ્પિટલમાં ગયાં ત્યારે ભારતીના કાનમાં પડદામાં ઓપરેશન કરવાની જરૂર હતી. એટલે ડોક્ટર સાથે વાત ચાલતી હતી. ડોક્ટરે કોઈ રકમ વધારે કહી હશે એટલે એ વાતનો ફાયદો ઉઠાવવા મનસુખ એક્ટિવ થઈ ગયો હતો.
મા-દીકરીના ઘરે પણ મનસુખ પહોંચીને ઉછીના રૂપિયા લઈ લીધા!
મનસુખે ચંપાબેનને કહ્યું, તમારી દીકરીનું ઓપરેશન હું કરી આપીશ. ડોક્ટર ભલે ગમે તેટલી રકમ કહે. હું તમને ખૂબ ઓછી રકમમાં તમારી દીકરીની સારવાર કરી આપીશ, એટલે ચંપાબેન અને ભારતી તૈયાર થઈ ગયાં હતાં. આ દરમિયાન મનસુખ ચંપાબેન અને ભારતીને મળવા તેમના ઘરે પણ પહોંચી ગયો હતો અને તેમની પાસેથી 3000 રૂપિયા ઉછીના લીધા હતા અને કહ્યું હતું કે ઓપરેશનમાં આ રૂપિયાનો હિસાબ કરી આપીશું. આ વાત બાદ મનસુખ ફરીથી રૂપિયાની માગણી કરતો હતો, પરંતુ આ વખતે દીકરીનું ઓપરેશન થાય ત્યારે જ પૂરા પૈસા આપવાની વાત હતી. બીજી તરફ મનસુખને ખૂબ જ દેવું થઈ ગયું હતું. તેના ફોન પર સતત ઉઘરાણી માટે ફોન આવ્યા કરતા હતા. તે પરેશાન હતો કે શું કરવું? એટલે તેણે આ વખતે એટલે કે બુધવારે સવારે ભારતી અને ચંપાબેનને ક્લિનિક શરૂ થાય એ પહેલાં બોલાવ્યાં હતાં.
કાંડ છુપાવવા રોજ સવારે એક કલાક સીસીટીવી બંધ કરતો
આ માટે તેણે બંનેને 9:30 વાગે પહેલાં આવવા જણાવ્યું હતું, કારણ કે મનસુખ દરરોજ ક્લિનિકમાં 9.30થી 10:30 સુધી સીસીટીવી કેમેરા બંધ કરી દેતો હતો અને આ સમયે આવતા એટલે કે તેના અગાઉથી જે દર્દીઓને આ સમય આપ્યો હોય એ સમયે દર્દીની સારવાર કરતો હતો અને રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દેતો હતો. જે ક્લિનિકમાં જમા થતા ન હતા અને સીસીટીવીની અંદર પણ કોઈ ફૂટેજ દેખાતા ન હતા. સીસીટીવી બંધ કરવાની એક સ્વિચ અંદરના રૂમમાં કન્સલ્ટિંગ બેડ પાસે આવેલી હતી. જે તે દરરોજ પોતાના પેશન્ટોને ચેક કરવા માટે વાપરતો હતો.
દવા છાંટવાના બહાને હોસ્પિટલમાં હાજર દર્દીને બહાર મોકલ્યા
બુધવારે સવારે ભારતીબેન અને ચંપાબેન કર્ણ હોસ્પિટલમાં પહોંચ્યા, ત્યારે મનસુખ ત્યાં હાજર હતો. એક વ્યક્તિનું ઓપરેશન થયેલું હતું. ભારતીબેન અને ચંપાબેન ત્યાં પહોંચ્યાં એટલે તેણે આ દર્દીને કહ્યું કે અંદર દવા છાંટવાનું કામ ચાલે છે એટલે તમે બહાર જતા રહો. એ દર્દી બહાર ગયા બાદ ભારતીબેનને અને ચંપાબેનને મનસુખે અંદર બોલાવ્યા હતા, જ્યાં નક્કી કર્યા પ્રમાણે ભારતીબેનના કાનનું ઓપરેશન કરવાનું હતું. મનસુખ પોતે ડોક્ટર ન હતો, પણ અનુભવી હતો. એટલે તેણે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભર્યું અને ભારતીબેનને અંદર આવેલા ઓપરેશન થિયેટર પાસે લઈ ગયો. ત્યાં આ ઇન્જેક્શન માર્યું હતું. આ સમયે ચંપાબેન પણ ત્યાં હાજર હતાં.
એનેસ્થેસિયાના ઓવરડોઝથી ભારતી તરફડિયાં મારી નીચે પટકાઈ
ઇન્જેક્શન આપ્યા બાદ ભારતીબેનને બહુ અસર થઈ નહીં, એટલે મનસુખે એનેસ્થેસિયાનો બીજો ડોઝ ભારતીબેનને આપ્યો હતો, પણ આ વખતે દવાનો ડોઝ ભારતીબેન પર અસર કરવા લાગ્યો, પરંતુ ભારતીબેન બેભાન થવાની જગ્યાએ ડચકાં મારવા લાગ્યા અને તેમને જાણે ખેંચ આવી હોય તેમ તરફડિયાં મારવા લાગ્યાં હતાં. આ બધું ચંપાબેન જોઈ રહ્યાં હતાં. પોતાની દીકરીને તરફડિયાં મારતાં જોઈને ચંપાબેન બેભાન થઈ ગયાં હતાં. થોડી જ મિનિટમાં ભારતીબેન મૃત્યુ પામ્યાં હતાં, જેથી મનસુખ ગભરાઈ ગયો હતો અને હવે ચંપાબેનને આ બધી વાતની ખબર હતી, એટલે તેનો ભાંડો ફૂટી જશે અને આટલાં વર્ષોથી તેણે કરેલાં તરકટ સામે આવી જશે. એ શંકા જતાં મનસુખે ચંપાબેનનું ગળું દબાવીને તેમને મારી નાખ્યા હતા.
મા-દીકરીની લાશોને હોસ્પિટલમાં જ સંતાડી
આ બધાની સાથે હવે લાશનો નિકાલ કઈ રીતે કરવો તેની ચિંતામાં પડ્યો હતો, કારણ કે હવે થોડા સમયમાં દર્દી અને ડોક્ટર બંને આવવાના શરૂ થવાના હતા, એટલે તેણે ભારતીબેનની લાશ ઓપરેશન થિયેટરમાં આવેલા એક ખાનામાં એટલે કે નાના કબાટમાં મૂકી દીધી હતી. જ્યાં કબાટમાં ગેસનો બાટલો હતો, તે બહાર કાઢી મૂક્યો હતો. જ્યારે કન્સલ્ટિંગ ટેબલની નીચે ચંપાબેનની લાશને સંતાડી હતી. હવે કોઈને ખબર નહીં પડે એમ માનીને મનસુખ 10:30 વાગે સીસીટીવી કેમેરા ચાલુ કરી દીધા હતા, પરંતુ ડોક્ટર ત્યાં આવે ત્યારે તેમણે ગેસનો બાટલો તેમજ ખાનાની બહાર ચપ્પલ જોયાં હતાં. એટલે તેમણે ખાનું ખોલતાં ભારતીની લાશ પડી હતી. એ જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે સીસીટીવી ચેક કરતાં બંને દેખાયા
પોલીસને ભારતીની લાશ મળ્યા બાદ આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં ભારતીની સાથે તેની માતા પણ આવી હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું, પરંતુ ભારતીની લાશ મળી, પણ ચંપાબેન ક્યાંય દેખાય નહીં, એટલે તેમના પરિવારે તેમને શોધવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આ તપાસ દરમિયાન ચંપાબેન ક્યાંય બહાર જતાં દેખાતાં ન હતાં, એટલે વધુ તપાસ ક્લિનિકમાં કરતાં બેડની નીચેથી ચંપાબેનની પણ લાશ મળી આવી હતી.

