
- નરેશ પટેલ રાજકીય એન્ટ્રીની અટકળો પર પૂર્ણવિરામ
- ખોડલધામ પોલિટિકલ એકેડમી શરુ કરાશે
પાટીદાર સમાજના અગ્રિમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો ક્યા પક્ષ સાથે જોડાશે તે મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. તેમજ ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરશે.
નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલ પૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો.
આ વિચાર મેં સમાજ પાસે મૂક્યો હતો
આ મુદ્દે તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના તમામ સમાજના લોકોને અને માં ખોડલધામને મારા પ્રણામ, મૂળ વાત પર જ આવીએ તો રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોના કાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મુક્યો હતો.સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલ પૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો છે.નોંધનીય છે કે આજની યોજાનારી પત્રકાર પરિષદમાં પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાયા ન હતા.

પોલિટિક્સમાં એન્ટ્રી નહીં
તેમના દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. રાજકારણમાં પ્રવેશથી ખોડલધામની અને સમાજની સામાજિક પ્રવૃતિને અસર થઇ શકે તેવી વાતનો સ્વીકાર કરવાની સાથોસાથ રાજકીય પક્ષો સાથે પૂર્વ શરતમાં મેળ નહીં પડ્યો હોવાના કારણોસર પણ નરેશ પટેલે છેવટનો રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

6 મહિનામાં 7 વાર તારીખ પાડી
છેલ્લા 6 મહિના નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેન્સ ચાલી રહ્યું છે. ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ.ત્યારે આજે આ રાજકીય અટકળોનો અંત આવ્યો છે.


