
રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર આજથી, એટલે કે સોમવારથી શરૂ થશે. શિક્ષકોએ 100 ટકા હાજરી સાથે શાળા-કોલેજમાં આવવાનું રહેશે, વિદ્યાર્થીઓને ઘરે જ રહીને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે. દરમિયાન સરકારી-ખાનગી કચેરીઓ, ધંધા રોજગાર પણ રાબેતા પ્રમાણે સવારે 9થી સાંજે 6 કલાક દરમિયાન ચાલુ રહેશે.
SOUની ઓનલાઇન ટિકિટ બુકિંગ ચાલુ
આ સાથે જ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 8મીથી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ટ સિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જોકે 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરાં-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે. તમામ સંસ્થાઓ, વ્યાપારી પેઢીઓ, ઉદ્યોગોએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
શિક્ષણ ઓનલાઇન આપવામાં આવશે
રાજયમાં ધો. 1થી 12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય આરંભાશે. આ સાથે આર્ટ્સ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડિપ્લોમાં ઇજનેરી સહિતના ટેક્નિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીનું શિક્ષણકાર્ય હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવવાનું રહેશે નહીં, શિક્ષણ ઓ્નલા્ઇન હાથ ધરાશે. શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ સ્કૂલે આવવાનું રહેશે.
આ આજથી ખૂલશે
- શાળા-કોલેજોમાં શિક્ષકોની હાજરી,ઓનલાઇન શિક્ષણ.
- સરકારી-ખાનગી કચેરીઓ 100% કર્મચારીઓ.
- તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ.
- એસટી,સીટી બસ 50% પેસેન્જર સાથે ચાલુ રહેશે
હજુ શું બંધ રહેશે
- સ્વિમિંગ પુલ,જિમ, કોચિંગ કલાસ (ઓનલાઇન શિક્ષણ), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે.
- મંદિરો સહિતનાં ધાર્મિક સ્થાનો બંધ રહેશે, માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે.
- કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો.
11મી પછી આ પણ શક્યતા
રાજ્યનાં મોટાં મંદિરો, જેવાં કે દ્વારકા, અંબાજી, ડાકોર, સોમનાથ, પાવાગઢ, આશાપુરા, બહુચરાજી, ઉમિયાધામ હાલ 11મી સુધી બંધ છે, પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ થતાં એ પણ શરૂ થવાની શક્યતા છે.
50% મુસાફરો સાથે BRTS શરૂ
સોમવારથી અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસની બસ 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થઈ રહી છે. એ અગાઉ રવિવારે બસને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

