
દેશમાં રોજ મળી રહેલા કોરોના સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. બુધવારે 53,419 નવા કેસ નોંધાયા હતા. 26,575 સાજા થયા હતા અને 249 લોકોનાં મોત થયાં હતાં. નવા સંક્રમિતોનો આ આંકડો 23 ઓક્ટોબરે સૌથી વધારે નોંધાયો હતો. ત્યારે 53,931 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 31,855 નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. અહીં 15,098 દર્દી સાજા થયા અને 95 સંક્રમિતોનાં મોત થયાં હતાં.
છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 26,588નો વધારો નોંધાયો હતો. એ સાથે જ કુલ એક્ટિવ કેસ 3.91 લાખ થઈ ગયા હતા. આજે આ આંકડો 4 લાખને પાર થઈ જશે. દેશમાં અત્યારસુધી 1 કરોડ 17 લાખ 87 હજાર 13 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 29 હજાર 591 લોકો સાજા થયા છે, જ્યારે 1.60 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.org દ્વારા લેવામાં આવ્યા છે.
કોરોનાં અપડેટ્સ
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે, દેશમાં 24 માર્ચ સુધી 23 કરોડ 75 લાખ 3 હજાર 882 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, તેમાં ગઈકાલના 10 લાખ 65 હજાર 21 ટેસ્ટ પણ સામેલ છે.
- મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2.03 લાખ લોકો પર માસ્ક નહીં પહેરવાનો દંડ લગાવવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના PROએ જણાવ્યું હતું કે આનાથી અત્યારસુધીમાં 4.06 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
- કોવિડ વેક્સિનેશન માટે ઈમ્પાવર્ડ ગ્રુપના ચેરમેન આરએસ શર્માએ જણાવ્યું હતું કે કો-વિન હવે બીજા ડોઝનું શિડ્યૂલ ઓટોમેટિકલી અપોઈન્ટ નહીં કરે. નક્કી કરેલા વેક્સિનના બે ડોઝની વચ્ચે અંતર પ્રમાણે લોકોએ જાતે શિડ્યૂલ નક્કી કરવાનું રહેશે.
- ઉત્તરાખંડની નૈનીતાલ હાઈકોર્ટમાં કુંભમાં આવનારા તીર્થયાત્રીઓ માટે કોવિડ-19નો નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો ફરજિયાત છે. આ રિપોર્ટ 3 દિવસથી વધારે જૂનો ના હોવો જોઈએ.
- કુંભમાં આવનારા લોકોને વધુ એક વિકલ્પ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત તીર્થયાત્રીઓ કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ પણ દેખાડી શકે છે. હાઈકોર્ટે મુખ્ય સચિવ ઓમ પ્રકાશ અને સચિવ સ્વાસ્થ્ય અમિત નેગીને હરિદ્વારમાં રહીને જ વ્યવસ્થાઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.
- રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના ડિરેક્ટર ડૉ. એસકે સિંહે જણાવ્યું છે કે દેશનાં 18 રાજ્યોમાં કોરોનાવાયરસ વેરિયન્ટના 771 કેસ નોંધાયા છે, તેમાં બ્રિટનના 736, દક્ષિણ આફ્રિકાના 34 અને બ્રાઝિલ વેરિયન્ટનો 1 કેસ સામે આવ્યો છે.
- મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરાં બંધ રહેશે. એ સાથે જ કોલેજ અને સ્કૂલો પણ ખોલવામાં આવશે નહીં. આ સિવાય દરેક પ્રાઈવેટ ઓફિસો પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રોજ સૌથી વધારે કેસ આવતાં 11 રાજ્યની સ્થિતિ
1. મહારાષ્ટ્ર: 24 કલાકમાં નવા કેસમાં ઉછાળો
અહીં બુધવારે 31,885 નવા દર્દી મળ્યા, જ્યારે 95 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 25.64 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે, તેમાંથી 22.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 53,684 લોકોનાં મોત થયાં છે. હાલ 2.47 લાખ લોકોની સારવાર ચાલી રહી ચે. આ પહેલાં મંગળવારે રાજ્યમાં 28699 નવા કેસ નોંધાયા હતા.

2. પંજાબ: એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાસ
અહીં બુધવારે 2,613 નવા દર્દી મળ્યા છે, જેમાંથી 39 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.20 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે, તેમાંથી 1.93 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,474 લોકોનાં મોત થયાં છે. હાલ 20,522 લોકોની સારવાર ચાલી રહી છે.

3. કેરળ: એક મહિનામાં અડધા થયા એક્ટિવ કેસ
અહીં બુધવારે 2,456 નવા દર્દી નોંધાયા છે. 2,060 સાજા થયા, જ્યારે 10 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારે 11.09 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 10.80 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,528 લોકોનાં મોત થયાં છે. અહીં એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો નોંધવામાં આવ્યો છે. 23 ફેબ્રુઆરીએ અહીં 54,661 દર્દીની સારવાર ચાલતી હતી. આ સંખ્યા ઘટીને હવે 24,265 થઈ ગઈ છે.

4. કર્ણાટક: નવા સંક્રમિતોમાં 250થી વધુનો વધારો
અહીં બુધવારે 2,298 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 5 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધી 9.75 લાખ લોકો એવા છે જે મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.46 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,461 લોકોનાં મોત થયાં છે. હાલ અહીં 16,886 લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં મંગળવારની સરખામણીએ 250 નવા કેસ વધ્યા છે.

5. છત્તીસગઢ: 9 દિવસમાં 7 હજાર કરતાં વધારે એક્ટિવ કેસ વધ્યા
અહીં બુધવારે 2106 નવા દર્દી નોંધાયા છે. 634 સાજા થયા, જ્યારે 29 લોકોનાં મોત થયાં. રાજ્યમાં હવે 3.29 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 3.13 લાખ લોકો સાજા થયા, જ્યારે 4011 લોકોનાં મોત થયાં છે. અહીં એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા 9 દિવસમાં 7,836 દર્દીનો વધારો થયો છે. અહીં 14 માર્ચે 4098 એક્ટિવ કેસ હતા, જે 24 માર્ચે વધીને 11,934 થઈ ગયા છે.

6. ગુજરાતઃ સતત 23મા દિવસે પણ કેસો વધ્યા
બુધવારે અહીં 1,790 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી 1,277 દર્દીએ કોરોનાથી સાજા થયા છે, જ્યારે 8 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધી 2.92 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 2.78 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,466 દર્દી મૃત્યુ પામ્યા છે અને 8823 દર્દીઓ સારવાર હેઠળ છે. 28 ફેબ્રુઆરીએ અહીં 407 કેસ નોંધાયા હતા, એ દિવસથી લઈને અત્યારસુધી કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

7. મધ્યપ્રદેશઃ એક્ટિવ કેસોની સંખ્યા 10 હજારને પાર
બુધવારે રાજ્યમાં 1,712 નવા દર્દી કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 950 લોકોએ કોરોનાને માત આપી છે, જ્યારે 7 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.80 લાખ લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.66 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 3,919 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યારે 10,047 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

8. તામિલનાડુઃ 25% વસતિનું કોરોના પરીક્ષણ હાથ ધરાયું
બુધવારે અહીં 1,636 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી 1023 લોકો ઠીક થઈ ગયા છે, જ્યારે 12 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.71 લાખ લોકો કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત થયા છે. તેમાંથી 8.49 લાખ લોકોએ કોરોનાને માત આપી છે, જ્યારે 12,630 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. હાલ રાજ્યમાં 9746 દર્દી સારવાર લઈ રહ્યા છે. તામિલનાડુની કુલ વસતિ 7 કરોડ 60 લાખની છે, જેમાંથી અત્યારસુધીમાં 1 કરોડ 90 લાખ લોકોના ટેસ્ટિંગ કરાયા છે.

9. દિલ્હીઃ 23 દિવસમાં 1000 નવા કેસોનો ધરખમ ઉછાળો
બુધવારે રાજ્યમાં 1,254 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 769 દર્દી સાજા થયા છે અને 6 ચેપગ્રસ્તોનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં કોરોનાવાયરસથી 6.51 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. તેમાં 6.35 લાખ લોકો સાજા થયા છે અને 10,973 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે 4,890 દર્દી સારવાર હેઠળ છે. 1 માર્ચના રોજ રાજ્યમાં 175 કેસ હતા, એટલે કે અહીં ફક્ત 23 દિવસની અંદર 1000થી વધુ કેસોનો વધારો થયો છે.

10. હરિયાણાઃ એક મહિનામાં 5.5 હજારથી વધુ સક્રિય કેસમાં વધારો થયો
બુધવારે રાજ્યમાં 981 નવા કોરોનાના દર્દીઓ મળ્યા હતા, જેમાંથી 379 સાજા થયા અને 6 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.82 લાખ લોકો આ રોગચાળાથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.72 લાખ લોકોએ કોરોનાને માત આપી દીધી છે અને 3,110 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારે 6,745 દર્દીની સારવાર ચાલી રહી છે. 19 ફેબ્રુઆરીના રોજ સક્રિય કેસો ઘટીને 819 થઈ ગયા હતા, એટલે કે છેલ્લા એક મહિનામાં અહીં 5 હજારથી વધુ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.

11. રાજસ્થાનઃ એક મહિનામાં કોરોનાના કેસો 76થી 600ને પાર
રાજ્યમાં બુધવારે 669 કોરોના સંક્રમિતો મળી આવ્યા હતા, જેમાંથી 258 દર્દી સાજા થયા છે અને 1નું મોત નીપજ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં 3.27 લાખ દર્દી વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. તેમાંથી 3.19 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 2,808 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 23 ફેબ્રુઆરીના રોજ અહીં 76 કેસ નોંધાયા હતા, જે 24 માર્ચ સુધીમાં વધીને 700ની નજીક પહોંચી ગયા છે, એટલે કે રાજ્યમાં તુલના કરીએ તો લગભગ 600 કેસોનો વધારો નોંધાયો છે.


