
- રોપ-વેના વધુ ભાડા સામે આખા સોરઠમાંથી વિરોધ ઊઠવા લાગ્યો
ગિરનાર રોપ-વે સાકાર થાય એ માટે એડીચોટીનું જોર સોરઠના તમામ વર્ગના લોકોએ લગાવી દીધું હતું. બધા જે રીતે એકી અવાજે રોપ-વેની માંગણી કરતા હતા એ બધાને રોપ-વેના તોતીંગ ભાડાથી આઘાત લાગ્યો છે. લોકોમાંથી એવો સવાલ ઉઠ્યો છે કે, શું આ માટે આપણે જોરશોરથી રોપ-વેની માંગણી કરી હતી ? રોપ-વેના વધુ ભાડા સામે આખા સોરઠમાંથી વિરોધ ઉઠવા લાગ્યો છે.
જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની તમામ ચેમ્બર ઓફ કોમર્સે પણ એકી સુરે આટલા બધા ટિકીટના દર હોય જ નહીં. આ દર સામાન્ય લોકો માટેનો નથી એથી ઓછો થવો જોઇએ એમ સ્પષ્ટપણે વેપારી આગેવાનોએ જણાવ્યું છે.
રોકાણ તો 1 વર્ષમાં નીકળી જશે
રોપ-વેને મંજૂરી માટેની પ્રક્રિયા વખતે સતીષ કેપ્ટન મેયર અને હું ડેપ્યુટી મેયર હતો ત્યારે 5-10 ટકા કોર્પોરેટરોની ગ્રાન્ટ માટે ફાળવવાની વાત પણ થઇ હતી. ઉષા બ્રેકોને રોકાણ તો 1-2 જ વર્ષમાં નિકળી જશે. પછી 98 વર્ષ સુધી તો કમાવાનું જ છે. આથી ભાડું 400 જ રૂપિયા રાખવું જોઇએ. > ગિરીશ કોટેચા, પૂર્વ ડે. મેયર, જૂનાગઢ મનપા
રૂ.700 સામાન્ય લોકોને ન પરવડે
જૂનાગઢ અને સમગ્ર સોરઠ વિસ્તારનાં મધ્યમ વર્ગના લોકોને 700 રૂપિયાનું ભાડું પરવડે તેમ નથી. પરિવાર સાથે રોપવેમાં બેસવું લગભગ અશક્ય જેવું છે. આથી ભાવમાં ઘટાડો કરવો જ જોઈએ. આ માટે સરકરા લેવલેથી આદેશ થાય તેવી લાગણી વિવિધ ચેમ્બર્સ દ્વારા રજુ કરાઈ છે.

