એક વર્ષથી નવા પુલની રેલિંગ તૂટેલી છતાં હજુ રીપેર કરાઇ નથી ભીનાર પુલની બાજુમાં બનાવાયેલનવા પુલ પરથી બંને તરફનો વાહન વ્યવહાર ચાલી રહ્યો છે અને તેની પણ એક તરફની રેલિંગ અકસ્માતમા નુકસાન થયાને લગભગ એક વર્ષથી તૂટી ગઇ છે. જેને રિપેર પણ કરવામાં આવી નથી.
નવસારી જલાલપોરના ભીનાર જતા રોડ પર આવેલ એક પુલની રેલિંગ તૂટી છે તો અન્ય લો લેવલ બ્રિજ ઉપર જર્જરિત હોય તેનું સમારકામ જલ્દીથી થાય તેવી લોકમાંગ ઉઠી છે. નવસારીથી ભીનાર જતા રોડ પર સાગરા ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતી એક નાની ખાડી પર એક લો લેવલ પુલ વર્ષોથી કાર્યરત છે.
મરોલી કાંઠા વિસ્તારના દરેક ગામના લોકો નવસારી આવવા જવા માટે વાયા ભીનાર થઈ આજ રોડનો ઉપયોગ કરતા હોય છે. પાછલા દિવસોમાંમાં ભારે વરસાદના કારણે આ લો લેવલ પુલને ઘણું નુકસાન થયું હતું. પુલ પર બનાવેલ ડામર રોડ ધોવાઇ ગયો છે અને સાઈડની રેલિંગ પણ વરસાદના પાણીના વહેણને કારણે નમી ગઇ છે, જ્યારે બીજી બાજુ એ તો ક્યારની તૂટી ગઈ છે.
માર્ગ મકાન વિભાગ તરફથી એ બંધ પડેલ પુલ પર લોકોને રોકવા માટે કોઈ બેરિકેટ્સ પણ મૂકવામાં આવ્યા નથી. ગામલોકોએ પુલના રસ્તા પર બંને બાજુએ ઝાડ કાપીને અવરોધક તરીકે મૂક્યા છે. ભીનાર જતા લો લેવલ પુલનું સમારકામ ચાલુ થાય અને પુલની રેલિંગ પણ બદલવામાં આવે જેથી કોઈ ગંભીર અકસ્માત નહીં થાય અને લોકો માટે પુલ ફરીથી કાર્યરત થાય એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
