માણાવદરની 3, કેશોદની 2 શાળામાં એક જ શિક્ષક

By Abhishek Raghuvanshi
2 Min Read
  • વહિવટી કામ માટે પણ શિક્ષકોને જવું પડે અને વર્ગ પણ ચલાવવો પડે તો પરીક્ષા પહેલાં કોર્સ કઇ રીતે પૂર્ણ થતાં હશે ઉઠતો સવાલ ?

જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ તપાસ કરી હતી. જ્યાં પણ માણાવદરની ત્રણ શાળાઓ એવી હતી કે, જ્યાં એક- એક શિક્ષક જ ફરજ બજાવી રહ્યાં છે. અને શિક્ષણ આપવાની સાથે વહિવટી કામ પણ કરવુ પડી રહ્યું છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. જ્યારે વાત કરીએ કેસોદના ખમીદાણાની તો સીમ શાળા-1માં જ્યારે તપાસ કરાઈ ત્યારે ધો-1 થી 5ના 10 છાત્રો પરીક્ષા આપતા હતા. અહીંયા એક પણ શિક્ષક નથી પરંતુ છાત્રોનું શિક્ષણ ન બગડે એ માટે એક પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરાઈ છે. નિયમ મુજબ બે શિક્ષકો હોવા જોઈએ. પાંચ મહિના પહેલા એક શિક્ષક હતા એ પણ નિવૃત્ત થયા હતા. અભ્યાસ ન બગડે એ માટે પ્રવાસી શિક્ષકને બોલાવવામાં આવી રહ્યો છે.

કેશોદ સિંધી પ્રા.શાળામાં શિક્ષકે પુત્રની મદદ લીધી
​​​​​​કેશોદની સિંધી પ્રાથમિક શાળામાં 27 બાળકો અભ્યાસ કરે છે. જો કે, શિક્ષક એક જ છે. અને શિક્ષણકાર્ય ઉપરાંત તેમને લગતી માહિતીમાં મુશ્કેલી પડતી હોય પુત્રને મદદ માટે લઈ જાય છે.

ક્યાં કેટલા છાત્રો અને શિક્ષક
ગળવાવ પ્રા.શાળામાં 23, બોડકા વસાહત શાળામાં 31, સરાડીયા પ્રા.શાળામાં 33 અભ્યાસ કરે છે. પરંતુ એક- એક જ શિક્ષક છે.
સમગ્ર જિલ્લાની સ્થિતી શું ?
જિલ્લા શિક્ષણ સમિતી જિ.પં. જૂનાગઢ હસ્તકની 717 પ્રા.શાળા છે. ધો-1 થી 5માં 51127, ધો-6 થી 8માં 31063 છાત્રો છે. વર્ષ 2022, 23માં મંજૂર થયેલ શિક્ષકોનું મહેકમ સંખ્યા 3843 છે. જેમાં 3412 પર ભરતી થઈ છે. જ્યારે 431 જગ્યા ખાલી છે. જેથી ભરતી કરવી જરૂરી બની છે.

શું કહે છે અધિકારી ?
આ અંગે ટીપીઓ કરશનભાઈ મુછાળે કહ્યું હતુ કે, બંને જગ્યાએ શિક્ષક નિવૃત્ત થતા પ્રવાસી શિક્ષકની નિમણૂક કરાઈ હતી.પરંતુ તેમને છુટા કરવાના હોય અત્યાર સુધી શિક્ષકોની બદલી પર સ્ટે હોય હવે પછીની બદલી થતા નિમણૂંક કરાશે. જ્યારે માણાવદર ટીપીઓ મયુરભાઈ કનેરીયાએ કહ્યું હતુ કે, આ ત્રણેય શાળામાં પ્રવાસી શિક્ષક ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ તેમને છુટા કરતા એક જ શિક્ષક ફરજ બજાવતા હોવાની વાત સાચી છે.

- Advertisement -
Exit mobile version