ભારત ગૌરવ ટ્રેન:રેલવે દ્વારા સાબરમતીથી દક્ષિણ દર્શન યાત્રા પેકેજ ટુર શરૂ કરાશે, 8 દિવસની યાત્રામાં પ્રખ્યાત મંદિરો-સ્થળોનો સમાવેશ

By Abhishek Raghuvanshi
3 Min Read

દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવામાં ભારત ગૌરવ ટ્રેન શરૂ કરાઇ છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRTC) દ્વારા દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરો અને સ્થળોના પ્રવાસ માટે અમદાવાદના સાબરમતીથી “શ્રી રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રા” શરૂ કરવામાં આવશે. જે 23 જૂનથી યાત્રા શરૂ થશે અને 08 દિવસ સુધી ચાલશે. યાત્રાની વધુ વિગતો અને ઓનલાઈન બુકિંગ માટે www.irctctourism.com/bharatgaurav અને 8287931718/9321901849 પર ફોન કરી માહિતી મેળવી શકાશે.

ટૂર પેકેજની કિંમત બે ભાગમાં રખાઈ
આ યાત્રા સાબરમતીથી શરૂ થશે અને 7 રાત અને 08 દિવસ (23 જૂનથી 30 જૂન, 2023 સુધી)ના પ્રવાસમાં પાંચ યાત્રાધામોને આવરી લેશે. ટૂર પેકેજની કિંમત સ્ટાન્ડર્ડ 3AC માટે રૂ. 27,500 અને ઇકોનોમી સ્લીપર ક્લાસ માટે રૂ.15,900 પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીની મુલાકાત લેવાની અનોખી તક મળશે. તમામ મુસાફરોના લાભ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના 9 મહત્વના સ્ટેશનો પર બોર્ડિંગ અને મુસાફરીના અંતે ઉતરવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

​​​​​​​યાત્રાનું પ્રથમ રોકાણ તિરુપતિ બાલાજી મંદિર
આ યાત્રાનું પ્રથમ રોકાણ તિરુપતિ બાલાજી મંદિરના દર્શન માટે રેનિગુંટા સ્ટેશન પર હશે. આ પછી યાત્રા બીજા દિવસે પદ્માવતી મંદિરના દર્શન માટે આગળ વધશે. ત્યારબાદ યાત્રાળુઓ રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પહોંચશે અને રામનાથસ્વમ જ્યોતિર્લિંગ મંદિરનાં દર્શન કરી શકશે. યાત્રામાં આગળ વધતાં મદુરાઈ જશે, જ્યાં યાત્રીઓ મીનાક્ષી મંદિરના દર્શન કરશે. અંતે, મુસાફરો નાગરકોઈલ સ્ટેશન તરફ પહોંચશે. જ્યાં વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી મંદિર, સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ ગાંધી મંડપમ અને કન્યાકુમારી બીચની મુલાકાત લેશે.

સુરક્ષાના ભાગરૂપે તમામ કોચ CCTVથી સજ્જ
આ ટ્રેન રેલ મુસાફરોને તેમની મુસાફરી સંબંધિત તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખીને સર્વગ્રાહી સેવા પૂરી પાડવામાં આવશે. ટૂર પેકેજમાં તમામ પ્રવાસ સુવિધાઓ (રેલ અને રોડ ટ્રાન્સપોર્ટ સહિત), સ્ટાન્ડર્ડ 3એસી માટે એસી બજેટ હોટલમાં રહેઠાણ અને ઇકોનોમી સ્લીપર ક્લાસ માટે નોન-એસી બજેટ હોટલ, ટ્વીન અને ટ્રિપલ શેરિંગ ધોરણે રૂમ, કપડાં ધોવા અને બદલવાની સુવિધા કેટરિંગ (સવારની ચા, નાસ્તો, લંચ અને ડિનર-ઓન-બોર્ડ અને ઓફ-બોર્ડ બંને), વ્યાવસાયિક અને મૈત્રીપૂર્ણ ટૂર એસ્કોર્ટ્સની સેવાઓ, ટ્રેનમાં સુરક્ષા-તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ કોચમાં મુસાફરી સહાય માટે મુસાફરી દરમિયાન જાહેર સરનામાની સુવિધા, મુસાફરી વીમો અને આઈઆરસીટી ટુર પ્રબંધકોની હાજરીનો સમાવેશ કરાયો છે.

- Advertisement -
Exit mobile version