
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઉનાળા શરૂઆતમાં મરી મસાલા નો ઉપયોગ કરતી ગૃહિણીઓ વધુ ખરીદી કરતી હોય છે તેથી મરી મસાલા ના પણ સેમ્પલ લેવાયા હતા ત્યારબાદ કેરીના રસ અને કાર્બાઇડથી પકડવામાં આવતી કેરીનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે અલગ અલગ પનીર વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમે પનીરના નમુના લીધા
સુરત મહાનગરપાલિકા ની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં જઈને 18 જેટલી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ઘી અને પનીરનો વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે ઘણી ડેરીઓની અંદર અને મીઠાઈ ની દુકાનોમાં અખાદ્ય પનીરનું વેચાણ થવાની પણ શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા 9 જૂનમાં અલગ અલગ દુકાનોમાં જઈને પનીરના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.
પનીરના સેમ્પલોને લેબોરેટરીમાં મોકલાશે
આરોગ્ય વિભાગના અધિકારી જગદીશ સાલુંકેએ જણાવ્યું કે હાલ લગ્ન સરા અને વેકેશન નો સમય ચાલી રહ્યો છે ત્યારે પનીરનો મહત્તમ ઉપયોગ લોકો કરતા હોય છે.લગ્નસરામાં પણ પનીરનો ઉપયોગ થતો હોય છે. જો પનીર અખાદ્ય હોય તો ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓ પણ બનવાની શક્યતાઓ રહેલી છે જેને કારણે આગોતરો આયોજન કરીને આરોગ્ય વિભાગની અલગ અલગ અમારી ટીમ આજે શહેરભરના પનીર વિક્રેતાઓ અને ત્યાં જઈને સેમ્પલ લઈ રહી છે જેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે જો લેબોરેટરીમાં કોઈપણ પ્રકારના ભેળસેળ કે આરોગ્યપ્રદ નહીં જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
