NIA-ATSની પૂછપરછ યથાવત:આતંકી સાથેના કનેક્શનને લઈને સુરતના જલીલને સતત બીજા દિવસે બોલાવી પૂછપરછ, ધો. 10 પાસ જલીલ મદ્રેસામાં બા‌ળકોને ઉર્દુ ભણાવે છે

By Abhishek Raghuvanshi
3 Min Read

ગુજરાત ATS અને NIA દ્વારા રવિવારે વહેલી સવારે સ્થાનિક પોલીસની એજન્સીને સાથે રાખી ગુજરાતના અમદાવાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં કેટલાક શખ્સો દેશ વિરોધી પ્રવૃતિ કરતા હોવાને લઈને તપાસ હાથ ધરી હતી. ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ મોડીસાંજે જવા દીધો હતો. જ્યારે આજે ફરી બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં પકડાયેલા આતંકીની તપાસમાં જલીલ સહિત 3 નામ સામે આવ્યા હતા. ધોરણ 10 પાસ જલીલ હાલ મદ્રેસામાં બાળકોને ઉર્દુ ભણાવે છે.

રિક્ષામાં જલીલીને લઈને એસઓજીની ઓફિસ પહોંચ્યા.

જલીલની NIAના એસપી જાતે તપાસ કરી રહ્યા છે
NIAની ટીમે ગુજરાતના અલગ અલગ શહેરમાં દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા તત્વોનું સર્વલન્સ કરી રહી હતી. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન દ્વારા NIAના સ્ટાફને 3 યુવકો દેશ વિરોધી પ્રવૃતિ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના આધારે ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. કર્ણાટકમાં પકડાયેલા આંતકીની પૂછપરછમાં જલીલ સહિત 3 જણાના નામો સામે આવ્યા હતા. NIAના સ્ટાફે જલીલને વર્ષ 2021ના કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ શરૂ કરી છે. જલીલની NIAના એસપી જાતે તપાસ કરી રહ્યા છે. જલીલ યુપીમાં એક વર્ષ પહેલા જમાતમાં ગયો હતો તે વખતે સંપર્કમાં આવ્યો હતો.

જલીલની સતત બીજા દિવસે પૂછપરછ હાથ ધરવામાં આવી.

જલીલ મદ્રેસામાં બા‌ળકોને ઉર્દુ ભણાવે છે
હાલમાં જલીલ મદ્રેસામાં બાળકોને ઉર્દુ ભણાવે છે અને ધો-10 સુધી ભણેલો છે. અગાઉ જલીલ રિક્ષા ચલાવતો હતો અને સાથે કાપડ દલાલીનું પણ કામ કરતો હતો. જ્યારે જલીલના રાંદેર ખાતે રહેતા 21 વર્ષીય મિત્ર ઉમરને પણ પોલીસ ઊંચકી લાવી હતી. તેની પણ NIAના સ્ટાફે 2 કલાક સુધી પૂછપરછ કરી સાંજે જવા દીધો હતો. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાશે અને તેઓ કોની કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ કરાશે.

સતત બે દિવસથી એનઆઈએ અને એટીએસના અધિકારીઓએ સુરતમાં ધામા નાખ્યા છે.

જલીલના ISIS સાથે કનેક્શન હોવાની શંકા
જલીલ પોલીસથી બચવા માટે તેના આકાઓ સાથે સોશિયલ મીડિયાથી વાતચીત કરતો હોવાની શક્યતાઓ છે. જલીલનો કર્ણાટક કનેક્શન બાબતે NIA કે ગુજરાત ATSના સ્ટાફે કોઈ ફોડ પાડ્યો ન હતો. NIAના સ્ટાફે જલીલના મોબાઇલમાંથી દેશ વિરોધી પ્રવૃતિઓ બાબતેના કેટલાક પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જલીલના આઈએસઆઈએસ કનેક્શન હોવાની આશંકા સામે આવી રહી છે.

- Advertisement -
જલીલના મિત્રની પણ બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

જલીલના મિત્રની પણ તપાસ થઈ હતી
જલીલના મિત્રને પણ ગતરોજ ઉંચકી લેવામાં આવ્યો હતો. તેની પણ બે કલાક સુધી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. જલીલના 21 વર્ષીય મિત્રની પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version