- મુખ્યમંત્રીની હાજરીમાં જાસપુર ખાતે એક સમારંભમાં કહ્યું, દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવે છે, સમાજે ચેતવાની જરૂર
રાજ્યમાં વધી રહેલા લવ-જેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદારોની મોટી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું છે. આર.પી.પટેલે કહ્યું હતું કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. સમાજે ચેતી જવાની જરૂર. સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીંતર ખૂબ મોટી તકલીફ આવનારા સમયમાં પડવાની છે. જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શી સ્થિતિ હશે.
મુખ્યમંત્રીને રજૂઆત
આ અગાઉ પણ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે આવેદન આપેલું હતું. કોઈપણ દીકરીના લગ્ન રજિસ્ટ્રેશન વખતે જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સહી ફરજિયાત હોય તો અન્ય સમાજના કે પછી અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી કે પ્રેમજાળમાં ફસાવી લગ્ન ન કરી જાય. જે સંદર્ભે સરકાર હાલમાં વિચારણાધીન છે કે દીકરીઓના લગ્નના રજિસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજિયાત કરાય. આ અંગે આર.પી.પટેલે જણાવ્યું હતું કે જો માતા-પિતાની સહી ફરજિયાત કરાશે તો પાટીદાર સમાજમાં કે અન્ય સમાજમાં લવ-જેહાદના કિસ્સાઓ નહીં બને.
પોલીસ અને સરકારને પણ કામનું ભારણ ઓછું આવશે. હાલમાં મહિલા પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ પડેલી અરજીઓ વધુ સમય પડી નહીં રહે અને એક સામાજિક સમરસતા તથા સામાજિક સુલેહભર્યું વાતાવરણ બની શકે છે. સમસ્ત પાટીદાર સમાજની તમામ સંસ્થાઓની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી.
