- વડોદરાના ઉદ્યોગપતિનો પરિવાર કૂળદેવીના દર્શન કરી ઢસા ગામથી પરત ફરતો હતો
- કસ્બારા ગામ પાસે કારનો ઓવરટેક કરતી વેળા ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો
તારાપુર-વટામણ રોડ ઉપર કસ્બારા ગામની સીમમાં ગુરુવારે બપોરના અરસામાં ઢસા ગામેથી વડોદરા જઈ રહેલા નવયુગલની ગાડીને અકસ્માત નડતાં કારમાં સવાર નવવધૂનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ તેમજ બહેનને ઈજાઓ થયાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
વડોદરા ઓલ્ડ પાદરા રોડ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેતા ઉર્મિલ નલીનકાંત શાહ ઉદ્યોગપતિ છે. તેઓ મકરપુરા જીઆઇડીસીમાં કંપની ધરાવે છે. તેઓના મોટા ભાઈ અમિતભાઈ પણ પોતાના પુત્ર ઉત્સવ, દીકરી પૂર્તિ સહિતના પરિવાર સાથે રહે છે.
ઉર્મિલભાઈ શાહ પોતાની ફોર્ડ એન્ડેવર કંપનીની કારમાં પત્ની દીશાબેન, મોટા ભાઈ અમિતભાઈ સહિતના પરિવારજનો સાથે તેમજ 20 દિવસ અગાઉ લગ્ન કરનાર તેઓનો ભત્રીજો ઉત્સવ પોતાની બીએમડબ્લ્યુ કારમાં પત્ની મૃગ્નાબેન તેમજ પોતાની બેન પૂર્તિબેનને બેસાડી ઢસા ગામે કૂળદેવીના દર્શને ગયાં હતાં.
ગુરુવારે બે કારમાં પરિવાર ઢસા ગામેથી વડોદરા પરત જવા નીકળ્યો હતો. દરમિયાન તારાપુર-વટામણ હાઇવે ઉપર કસ્બારા ગામ નજીક બપોરના 3-30 વાગ્યાના અરસામાં બીએમડબ્લ્યુ કાર ચલાવી રહેલા ઉત્સવ અમિતભાઈ શાહને આગળ જતી કારનો ઓવરટેક કરવા જતાં ઝોકું આવી જતાં કાર આગળ જતી ટ્રકમાં અથડાઇ હતી.
આ અકસ્માતમાં તેઓનાં પત્ની મૃગ્નાબેનને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક ઉત્સવભાઈ તેમજ તેઓની બહેન પૂર્તિબહેનને ઈજાઓ થઈ હતી. આ અંગે ઉર્મિલ નલીનકાંત શાહની ફરિયાદ લઈ તારાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.
20 દિવસ પૂર્વે યુવતીના લગ્ન થયા હતા, પરિવાર ગમગીન
ઉર્મિલભાઇ શાહના ભત્રીજા ઉત્સવના લગ્ન 20 દિવસ અગાઉ મૃગ્ના સાથે થયા હતા. લગ્નનું કામકાજ પૂર્ણ થયા બાદ નવયુગલને ઢસા ગામે આવેલા કૂળદેવીના મંદિરે દર્શન કરવા માટે સહપરિવાર બે કાર લઇને નીકળ્યા હતા. હજુ તો મૃગ્ના હાથની મહેંદીનો રંગ ઊડ્યો ન હતો તે પહેલાં ગોઝારા અકસ્માત તેમનું મોત થતાં શાહ પરિવારમાં શોક છવાઇ ગયો છે.
સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો પણ એરબેગ ખૂલતી નથી
બીએમડબ્લ્યુ જેવી કાર ચાલકો માટે સુરક્ષિત ગણાય છે. અકસ્માત થાય ત્યારે એરબેગ ખૂલતી નથી. કારમાં એરબેગ સીટ બેલ્ટ સાથે જોઇન્ટ હોય છે. જેથી સીટ બેલ્ટ પહેરેલો હોય તો એરબેગ ખૂલે છે. વળી મેઇન્ટેન્સ ન કરાવ્યું તેવા સંજોગોમાં એરબેગ ખૂલતી નથી.
