AAPનો આજે અમદાવાદમાં રોડ શો:કેજરીવાલે કહ્યું ગાંધી આશ્રમમાં આવીને શાંતિ મળે છે, ભગવંત માને કહ્યું, પંજાબમાં મોટાભાગના ઘરમાં આજે પણ મહિલાઓ ચરખો કાંતે છે

By Abhishek Raghuvanshi
5 Min Read
  • સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધી રોડ શો યોજશે
  • દિલ્હીમાં ઘર પર થયેલા હુમલા બાદ અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરાયો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. બંને નેતા આજથી બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. તેઓ આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

બંને નેતાઓએ ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી
ગાંધી આશ્રમના કોમ્યુનિકેટર લતાબેન એ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી હતી. ભગવત માને ચરખા વિશે વાત કરી હતી.તેઓ ચરખા વિશે ઘણું જાણતા હતા. તેઓએ જણાવ્યું હતું કે મેં પંજાબમાં પણ ચરખો ચલાવ્યો છે. પરંતુ અહીંયાના અને પંજાબના ચરખામાં ઘણો ફેર છે. આ ફેર વિશે કહ્યું હતું. જેમાં ચરખાનું મોંઢીયું અલગ હોય છે. જેમાં દોરો ગુંચવાય નથી. બંને નેતાઓએ ગાંધીજીના ઘર હ્ર્દયકુંજની મુલાકાત લીધી હતી. 15 વર્ષ અહીંયા રહ્યાં તેના વિશે માહિતી મેળવી હતી. પ્રદર્શનની નિહાળતા સમયે તેઓએ અનેક પ્રશ્નો પૂછ્યા હતા જેમ કે મિલ મજૂરો જ્યારે હડતાળ પર ઉતર્યા ત્યારે તેઓ સાથે પણ તેઓ ઉભા રહ્યા હતા અને તેમના વિશે વાતચીત કરી હતી.

કેજરીવાલે લખ્યું કે અહીં આવીને શાંતિ મળે છે

કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે,આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે અહીં ગાંધીજીની આત્મા વસે છે. ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.

- Advertisement -

ભગવંત માને કહ્યું અહીં આવીને ઘણું બધું જાણવા અને જોવા મળ્યું

હૃદયકુંજ ​​​​નિહાળીને રેટિંયો કાંત્યો
ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશ્રમમાં આવનારી દરેક વ્યક્તિને ચેક કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, 2 DCP અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સમગ્ર હૃદયકુંજ નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે રેંટિયો કાંત્યો હતો.

બંને નેતા ગઈકાલે રાત્રે જ અમદાવાદમાં આવી ગયા હતા
કેજરીવાલ અને ભગવંત માન ગત રાતે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતને પગલે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાં બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં.

હૃદયકુંજ નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે રેંટિયો કાંત્યો હતો

બેનરો ઉતારી લેવાતાં AAPના કાર્યકરોમાં રોષ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા બેનરો ઉતારી લેવામાં આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. શુક્રવારે બપોરે પણ અસારવા વિસ્તારમાં આ રીતે બેનર ઉતારી લેવાતાં હોબાળો મચ્યો હતો. ત્યારે ગઇકાલે મોડી રાત્રે પણ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો ઉતારીને ગાડીઓમાં ભરી લેવાતાં કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.

બંને નેતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે
તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આથી રોડ-શો અને ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા ગુજરાત AAPના નેતાઓએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી સુરક્ષામાં વધારો કરવાની માગ કરી હતી. આજે રોડ શો બાદ આવતીકાલે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે. તાજ સ્કાયલાઇન હોટલમાં જ તેઓ ચૂંટણી અંગે બેઠકો કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.

Exit mobile version