- ગોરા ખાતે બાપુનાં અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાંથી ભાવિકો ઊમટી પડ્યા
ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ થયા હતા. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલે ગોંડલથી બાપુનો પાર્થિવદેહ રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લાવવામાં આવ્યો હતો. હાલ તેમનો પાર્થિવદેહ નર્મદા તટે પહોંચ્યો હતો, જ્યાં ગોરા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો અંતિમ દર્શન માટે ઊમટ્યા છે. બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહ મુખાઅગ્નિ અપાઈ હતી.
ગુરુદેવનાં અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે સોમવારે ગોંડલ ખાતે પાર્થિવદેહના દર્શન માટે ભાઈશ્રી રમેશ ઓઝા અને ગોંડલના મહારાજા હિમાંશુસિંહ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાઈશ્રી રમેશ ઓઝા અને હરિચરણદાસજી વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. આ સાથે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પોતાના પરિવાર સાથે તેમના ગુરુદેવનાં અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.
ચેતેશ્વર પૂજારાને ગુરુમાં અનન્ય શ્રદ્ધા
સૌકોઈ જાણે છે કે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ રામજી મંદિરના મહંત એવા હરિચરણદાસ બાપુમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે. ચેતેશ્વર જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય છે ત્યારે તેઓ સૌપ્રથમ સિરીઝની શરૂઆત થતાં પહેલાં પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ જરૂર લે છે. પોતાનો જન્મદિવસ હોય કે પોતાની પત્નીનો જન્મદિવસ હોય કે પછી પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુપૂર્ણિમા, ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે તો સાથે જ તેમનું પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે.
હરિચરણદાસજી મૂળ બિહારના વતની
બાપુનું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું. ઇસવીસન 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યાર બાદ 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લાં 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાંનિધ્યમાં સરયુ નદીના કિનારે ભજન કરતા હતા.
અનેક સેવાકીય કાર્યો કર્યા હતા
ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.
બાપુને શ્વાસ અને ઇન્ફેક્શનની બીમારી
આ અંગે આશ્રમના સેવકે મીડિયાને જણાવ્યું હતું કે ગુરુદેવને ઓક્સિજન પર રાખ્યા છે. હરિચરણદાસ બાપુને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયાનું અને હાલ ગંભીર હાલત હોવાનું કિશોરભાઈ ઉનડકટે જણાવ્યું હતું. હાલ બાપુને 100 વર્ષ થયા હોવાથી શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે.
રઘુવંશી સમાજમાં હરિચરણદાસ બાપુનું ખૂબ જ મહત્ત્વ
રઘુવંશી સમાજમાં રણછોડદાસ બાપુ બાદ હરિચરણદાસ બાપુનું મહત્ત્વ ખૂબ જ વધુ છે. ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં તેમને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી. ત્યારે વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ચાર્ટર પ્લેન મારફત ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં કેવડિયા પાસે ગોરા આશ્રમમાં પણ બાપુની તબિયત લથડી ત્યારે ગોંડલથી ડોક્ટરની ટીમ દોડી ગઇ હતી. બાદમાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેઓ ગોંડલ રામજી મંદિર આવતા રહ્યા છે.
અગાઉ હીમોગ્લોબિન લેવલ ઓછું થઇ જતાં તબિયત લથડી હતી
એપ્રિલ 2020માં હરિચરણદાસ બાપુની તબિયત લથડી હતી. હરિચરણદાસ બાપુનું હીમોગ્લોબિન લેવલ ઓછું થઈ જતાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ગોંડલની રામ હોસ્પિટલના ડોક્ટરોએ બાપુના જ રૂમમાં તમામ સારવાર આપી સ્વસ્થ કર્યા હતા તેમજ 2 ફેબ્રુઆરી 2020માં હરિચરણદાસ બાપુ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતાં થાપામાં ફ્રેક્ચર થયું હતું. ત્યાંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતાં થાપાના ભાગમાં ઈજા થઇ હોવાથી ઓપરેશન કરાવવાનું જણાવતાં ત્વરિત અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ચાર્ટર પ્લેન મારફત ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી.
