નરેશ પટેલને આપનું ખુલ્લું આમંત્રણ:રાજકોટમાં ઈસુદાને કહ્યું:’નરેશ પટેલ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ’, ભાજપના 150થી વધુ કાર્યકરો ‘આપ’ માં જોડાશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કરતા ઈસુદાને કહ્યું: યે તો ટ્રેલર હે,પિક્ચર અભી બાકી હૈ
  • પંજાબમાં ‘આપ’ની સરકાર બનતા પાર્ટીના નેતાઓએ શહેરમાં તિરંગા યાત્રા કાઢી હતી

તાજેતરમાં 5 રાજ્યોમાં યોજાયેલ ચૂંટણીમાં પંજાબમાં જંગી બહુમતીથી ‘આપ’ની સરકાર બનતા તેની ઉજવણીના ભાગ રૂપે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈસુદાન ગઢવી નેતાઓ શહેરમાં આવી પહોંચ્યા હતા. અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જ્યાં મીડિયાને ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, નરેશ પટેલ આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે. ઉલ્લેખનીય છે કે આજે ભાજપ સહિત અન્ય પક્ષના 150થી વધુ લોકો આપમાં જોડાશે.

કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે
ઈસુદાન ગઢવીએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે, કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે નરેશ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ.

આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઝંપલાવશે
ઈસુદાને વધુમાં જણાવ્યું હતું કે, હાલ ભાજપમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ત્યારે આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે. અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે તેવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઝંપલાવશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે.

- Advertisement -
આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે

લોકો પાસે જઈને મત માંગીશુ
ઈસુદાને વધુમાં જણાવ્યું હતું કે, આજે 150થી વધુ લોકોનાં ‘આપ’માં જોડાવા મામલે તેમણે કહ્યું હતું કે, યે તો ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે’ આગામી દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. રાજકોટમાં આજે વિજય તિરંગા યાત્રા કાઢીને આમ આદમી પણ હેલિકોપ્ટર વાળાને હરાવી શકે તે સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમે લોકોને સ્પર્શતા મુદ્દા શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી સહિતનાં મુદ્દાઓ સાથે લોકો પાસે જઈને મત માંગીશુ. તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પણ હેલિકોપ્ટર વાળાને હરાવી શકે: ઈસુદાન ગઢવી
Exit mobile version