- આપના નેતાઓની ધરપકડ થતા ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ ગુજરાત દોડી આવ્યા
રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષા લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની ધરપકડ થતા દિલ્લીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓએ સમગ્ર ઘટના મામલે માહિતી મેળવી આગળની રણનીતિ માટે આપના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી છે.
‘આપ’ના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ વિશે વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી.તેમણે કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે, અસિત વોરાએ રાજીનામું આપવું જોઈએ.ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું.આજથી હું અને મહેશભાઈ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ.કોંગ્રેસ તો મૂકદર્શક બની ગઈ છે.
પાટીલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર: AAP
હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા. તેમજ યુવાનોને વળતર ચુકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશ સવાણી આજથી આમરણાંત ઉપવાસ પર બેસસે તેવી જાહેરાત કરી છે. ગુલાબસિંહે કહ્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાત સરકારના તમામ નિર્ણયો સુપર સીએમ તરીકે સી. આર. પાટીલ જ છે. આમ આદમી પાર્ટીની ગુજરાતના યુવાધન માટે આ માંગણી સુપર સી.એમ. પાટીલ સામે જ છે. ગુજરાતની જનતા એ પણ જાણે છે કે ગુજરાતમાં સી.આર. પાટીલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે.
કૌભાંડના પકડાયેલા આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે
તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે. પાટીલે તો જાહેરમાં એવું નિવેદન આપ્યું જ છે કે ભાજપના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ, તો તમારા હાથ હેઠળ આવા કૌભાંડો થાય એમાં નવાઈ શું?
ઈટાલિયા, ઈસુદાન સહિત વધુ 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા
કમલમ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
5 તબક્કામાં 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
ગઈકાલે બપોરે 3:30 વાગે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવાના હતા. જેથી કોર્ટની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને વકીલ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા 5:30 વાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના શરૂ કર્યા હતા. સૌ પ્રથમ નિખિલ સવાણી અને અન્ય 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અન્ય 14 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવીણ રામ અને અન્ય 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા પછી ઇસુદાન ગઢવીને અન્ય 13 આરોપીઓ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલીયા અને 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આમ 5 તબક્કામાં 65 આરોપીઓ ને 5:35થી 6:55 સુધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓમાં એક માત્ર ઇસુદાન ગઢવીને DySPની ગાડીમાં કોર્ટમાં લાવવા આવ્યા હતા.
બચાવ પક્ષના એક વકીલે ભાજપના પ્રમુખના વિધાનને ટાંક્યું
ગઈ કાલે બચાવ પક્ષે દલીલ કરવાની શરૂ કરી હતી. જેમાં વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, ખાનગી જગ્યાએ આરોપીઓ ગયા છે તેવું ફરિયાદમાં ઉલ્લેખ છે, પરંતુ ભાજપના પ્રમુખે જ કહ્યું હતું કે, કોઈને કઈ તકલીફ હોય તો સચિવાલયમાં નહીં પરંતુ કમલમ જ આવવાનું ત્યાં જ સોલ્યુશન મળશે. બચાવ પક્ષના અન્ય વકીલે પણ દલીલમાં કહ્યું હતું કે, અમને તો અક્ષરધામ મંદિર દર્શન કરવાનું કહીને બસ બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં બસ ઊભી રાખીને એ લોકો ગયા હતા અને 30 મિનિટ સુધી આવ્યા નહીં. બાદમાં પોલીસ આવીને અમને પકડી ગઈ હતી.
એક PSIની ફિઝિકલ પરીક્ષા હોવાની દલીલ કરતાં એક દિવસના જામીન
ગઈ કાલે દલીલ દરમિયાન પોલીસે સ્ટેશન ડાયરી ના લાવ્યા હોવાની પણ દલીલ થઈ હતી, જેથી જજે 7-45એ પોલીસને તાત્કાલિક ડાયરી લાવવા આદેશ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ડાયરી લેવા ગઈ હતી અને 9 વાગે પોલીસ ડાયરી લઈને કોર્ટમાં હાજર થઈ હતી. 9:05એ 1 આરોપીને આવતીકાલે PSIની ફિઝિકલ પરીક્ષા હોવાની દલીલ કરતા આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પૂછ્યું અને બાદમાં ઓર્ડર લખવાનો શરૂ કર્યો હતો. જેમાં પરીક્ષા હોવાથી 1 આરોપી રજનીકાંત પરમારને 1 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. જ્યારે અન્ય 64 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. આરોપીઓ રજૂ કર્યા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો ત્યાં સુધી તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા.
