
- એમ્બ્યુલન્સનો વેઇટિંગનો વીડિયો, ક્યાં દાખલ કરવા તંત્ર માટે સમસ્યા
કોરોનાને કારણે અમદાવાદની સ્થિતિ ભયાનક બની રહી છે, જેમાં હવે મોટી મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે. દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો પ્રશ્ન છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી રાખવી પડે છે. આ બધાની સાથે હવે અમદાવાદ નજીકની હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવે એવી સ્થિતિ છે.
15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં
અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે. ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે.

નાયબ મુખ્યમંત્રી સિવિલ પહોંચ્યા
સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યાં છે, જેને કારણે હવે નવા દર્દી માટે શું કરવું એ ચિતાનો વિષય બન્યો છે. આ માટે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે.
એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર
દિવ્યભાસ્કર દ્વારા બે દિવસ પહેલાં રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક દિવસમાં 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળી હતી. આ સમયે મૃતકોનાં સ્વજનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર હતી. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું. એની સાથે સાથે ત્યાં દર્દીનાં સ્વજનો પહેરેલાં માસ્ક અને ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે ચડ્યાં હતાં.

સ્મશાનમાં પણ વેઈટિંગ
1200 બેડ હોસ્પિટલની પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી હતી, જ્યાં સતત સ્વજનો દુઃખી ચહેરે આવતાં હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક હતું. ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તેમજ એની સાથે તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું.
શહેરમાં કોરોનાથી થતાં મોતના આંકડા ગંભીર
રાજ્યમાં કોરોનાના કેસો હાલ દરરોજ નવો રેકોર્ડ કરી રહ્યો છે. એક તરફ, પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે તો બીજી તરફ, કોરોનાનો ગ્રાફ ટોચ પર છે. અમદાવાદ અને સુરતમાં કેસો વધી રહ્યા છે, જો એ સ્થિતિ જ રહી તો આગામી દિવસોમાં તમામ હોસ્પિટલ ફુલ થઈ જશે. હાલ કોરોનાને કાબૂમાં લેવા અને દર્દીઓની સારવાર માટે સરકાર પ્રયાસો કરી રહી છે. એની સામે કોરોનાને કારણે થતાં મોતના આંકડા ગંભીર રીતે વધી રહ્યા છે.

