લોકોમાં રોષ:પ્રાથમિક સુવિધાના અભાવે લોકો ‘આપ’ તરફ વળ્યા, સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના 200થી વધુ લોકો ‘આપ’માં જોડાયા

By Abhishek Raghuvanshi
3 Min Read
200થી વધુ રહીશોએ આમઆદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ‘આપ’નો ખેસ ધારણ કરી લીધો.
  • વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત

સુરતના સચિન વિસ્તારમાં આવેલી શિલાલેખ સોસાયટીના 200થી વધુ રહીશો દ્વારા આમઆદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ‘આપ’નો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થઇ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સતત કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાની ફરિયાદ સાથે તેઓ ‘આપ’માં જોડાયા છે.

ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી નહીં
શિલાલેખ સોસાયટીના રહીશોને પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડી શકતું નથી. સોસાયટીના લોકો વર્ષોથી પ્રાઇવેટ બોરિંગનો ઉપયોગ કરી રહ્યા છે. બોરિંગનું પાણી પણ ખૂબ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પડી રહી છે.

રહીશોએ જ આમઆદમી પાર્ટીના સભ્યોનો સંપર્ક કર્યો હતો.

લોકો અને આમઆદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દૃઢ બની રહ્યો છે
‘આપ’ના કાર્યકર અનિલ યોગ નંદાણીએ જણાવ્યું હતું કે શિલાલેખ સોસાયટીના સ્થાનિક રહીશોએ અમારો સંપર્ક સામેથી કર્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન કરાતાં અમે હવે ‘આપ’માં જોડાવા ઈચ્છી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે અમે બેઠક કરીને જેટલા પણ લોકો ‘આપ’માં જોડાવા ઈચ્છતા હોય તેમનો અમે સહર્ષ સ્વીકાર કરી લીધો છે. લોકો અને આમઆદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દૃઢ બની રહ્યો છે.

રહીશોને પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડતું ન હોવાનું રહીશોએ જણાવ્યું.

કોર્પોરેશન દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે
શિલાલેખ સોસાયટીમાં રહેતા જયદીપ રાબડિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ અમારી સાથે અન્યાય કરી રહ્યા છે. કોર્પોરેશનની સત્તા પર બેઠેલા ભાજપ પક્ષ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મીઠું પાણી અમારી સોસાયટીને મળશે એવું ચૂંટણી પહેલાં તેમણે વાયદો આપ્યો હતો અને એ સમયે 15થી 20 ફૂટ જેટલું ખોદીને મીઠા પાણીની પાઇપલાઇન માટેની પાઇપ પણ ત્યાં મૂકી દીધી હતી, પરંતુ આ શાસકોને મત મળી ગયા બાદ એ કામ આગળ વધ્યું નથી, પણ એમને એમ છેલ્લાં ઘણાં વર્ષોથી પડી છે છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી. અમારી સોસાયટીમાં 2500 કરતાં વધારે લોકો રહે છે, પરંતુ હાલ અમે 200થી વધુ લોકો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

- Advertisement -
સોસાયટીમાં 2500 કરતાં વધારે લોકો રહે છે, પરંતુ હાલ 200થી વધુ લોકો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયા.
Exit mobile version