વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સમ્માન નિધીના હપ્તાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે. અરુણાચલ પ્રદેશના ખેડૂતો સાથે વાત કરતા મોદીએ કહ્યું કે કેટલાક લોકો ભમ્ર ફેલાવી રહ્યાં છે કે નવા કૃષિ કાયદાઓથી તમારી જમીન જતી રહેશે. આવા લોકોની વાતોમાં ન આવો.
આ રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા
અરુણાચલપ્રદેશ
ખેડૂતઃ મને 4 મહિનામાં 2-2 હજાર મળ્યા. પીએમ ફન્ડમાંથી મળેલા પૈસામાંથી ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું અને FPO બનાવ્યું. ઓર્ગેનિક આદુની ખેતી કરીએ છીએ.
મોદીઃ જે કંપનીઓ તમારી સાથે જોડાઈ છે, તે તમારી પાસેથી આદુ જ લે છે કે જમીન પણ લઈ લે છે. ખેડૂતોએ કહ્યું કે આવું થતું નથી.
ઓરિસ્સા
ખેડૂતઃ 12 માર્ચ 2019ના રોજ ખેડૂતોને ક્રેડિટ મળી. મેં 4 ટકા પર લોન લીધી છે. સાહુકાર પાસેથી 20 ટકા વ્યાજે લોન મળે છે. લોનના પૈસાથી મારા જીવનમાં સુધારો થયો છે. મારી પાસે એક એકર જમીન છે.
મોદીઃ અટલજીની સરકારે ખેડૂતોને ઓછા દરે લોન આપવાની શરૂઆત કરી હતી. અમે આ કામને આગળ વધારી રહ્યાં છે.
તમિલનાડુ
ખેડૂતઃ મને ડ્રિપ ઈરિગેશનથી ઘણો ફાયદો થયો છે. તેનાથી પાણીનો પણ ઘણો બચાવ થાય છે.
મોદીઃ તમે કમાણી તો કરી સાથે માનવ સેવા પણ કરી. તમારી આવક પણ વધી અને જમીનનો ઉપયોગ પણ થયો. તમને આગ્રહ કરીશ કે અન્ય ખેડૂતોને પણ સમજાવો કે પાણીની વધુ જરૂર પડતી નથી.
સરકારની નીતિઓને ખેડૂતો સુધી પહોંચાડવા માટ સરકાર પ્રમુખ મંત્રીઓ પણ અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં છે.
| મંત્રી | જગ્યા |
| અમિત શાહ | કિશનગઢ ગામ, મહારૌલી, દિલ્હી |
| નિતિન ગડકરી | સિલચર, અસમ |
| ગજેન્દ્ર સિંહ શેખાવત | જેસલમેર, રાજસ્થાન |
| રવિશંકર પ્રસાદ | પટના, બિહાર |
| વીકે સિંહ | ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ |
આજના દિવસને શા માટે પસંદ કરવામાં આવ્યો ?
આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી કાર્યક્રમ કરાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી, BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી, સાંસદો, ધારાસભ્યો સામેલ હશે. ખેડૂતોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન BJP કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને કૃષિ કાયદાઓને લઈને લખવામાં આવેલા કૃષિમંત્રીના પત્રને વહેંચશે.
દર વર્ષે 6 હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે
વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી 6 હજાર રૂપિયા 3 હપતામાં આપવામાં આવે છે. અત્યારસુધીમાં 10 કરોડ 96 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ માહિતી પ્રેસ-કોન્ફરન્સમાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી કિસાનોને નવા કૃષિ કાયદાઓની ખૂબીઓ પણ બતાવશે. આ કાર્યક્રમ માટે 22 ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશના 2 કરોડ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ
કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 30મો દિવસ છે. સરકારે ગુરુવારે વધુ એક પત્ર લખીને ખેડૂતોને વાતચીત માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દાને હલ કરવા માટે સરકાર ગંભીર છે, સાથે જ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સાથે જોડાયેલી કોઈપણ નવી માગ જે નવા કૃષિ કાયદાઓની સીમાથી બહાર છે, એને વાતચીતમાં સામેલ કરવી એ યોગ્ય નથી. બુધવારે જ ખેડૂતોએ સરકારના અગાઉ મોકલેલા પત્રને નકારી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા લાવે પછી વાત થશે.
