
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગઈકાલે દરગાહ પાસે અસામાજિક તત્વો વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અસામાજિક તત્વોએ વાહન સળગાવી મકાન પર પથ્થરમારો કર્યો હતો. આ મામાલે મહિલાએ મુસ્તાક નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પતિ અને આરોપી વચ્ચે જુગારની બાબતે માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થયા છે. લૉ એન્ડ ઓર્ડર પર સ્થાનિક પીઆઈનો કંટ્રોલ ન હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
હથિયાર સાથે આવી ઘર પર પથ્થર મારો કર્યો
ઇસનપુરમાં રહેતા આરીફની પત્ની યાસમીનબાનુએ ફરિયાદ નોંધાવી હતી કે, મેં તેનો પતિ રાતે 11 વાગવા ચોકીદાર બાવાની દરગાહ પાસે રોજની જેમ બેસવા ગયો હતો. રાતે 11:45એ ઘરે આવ્યો હતો, ત્યારે વાહન સાથે ના લાવ્યો તો પત્નીએ પૂછ્યું કે, વાહન ક્યાં છે? ત્યારે આરીફે જણાવ્યું કે, દરગાહ પાસે પાર્ક કર્યું છે. રાતના 12:15 વાગે આરીફના ઘરની બહાર પથ્થરમારો તથા કાચની બોટલ ઉછડી રહી હતી. જેથી પત્નીએ પતિ આરીફને પાડોશીના ઘરે મોકલી દીધો હતો. પત્નીએ મકાનની અગાશીમાં જોતા મુસ્તાક હાજી ઉર્ફે કાણિયો તેનો દીકરો અજજુ, રેહાન અને મિત્ર આદિલ બાઇક પર આવ્યા હતા. જેના હાથમાં તલવાર અને લાકડીઓ હતી. ચારેય પથ્થર અને કાચની બોટલ ઘર પર ફેંકી રહ્યા હતા.
આરોપીએ બુમાબુમ કરી લોકોમાં ભય ફેલાવ્યો
આ દરમિયાન આરોપીઓએ આરીફનું વાહન પણ સળગાવી દીધુ હતું. આરીફના ઘર પાસે આરોપી બુમાબુમ કરતા આસપાસના લોકોમાં પણ ભય ફેલાયો હતો. યાસમીનબાનુના બહસન હુરબાનું તેમના વાહનમાં ચાવી ભરાવીને ડરના કારણે ઘરમાં આવ્યા, ત્યારે રેહાને વાહનની લૂંટ કરી ત્યાંથી લઈ ગયો હતો. ડરના કારણે આરીફનો પરિવાર બાજુમાં માતાના ઘરમાં જતા રહ્યા હતા. આરીફનું વહન સળગવાની જાણ થતાં ત્યાં જઈને જોયું તો વાહન આખું સળગવા આવ્યું હતું. ત્યારે મુસ્તાક અને તેના સાગરુતોએ જ વાહન સળગાવ્યુ હોવાનું જાણવા મળ્યું હતું.
બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બગડ્યો
સમગ્ર મામલે મુસ્તાક અને આરીફ વચ્ચે કેટલાય સમયથી જુગરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુસ્તાક અને આરીફ જુગાર રમાડતા હતા અને ગઈકાલે જુગાર રમાડવા બાબતે જ બંને વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બગડ્યો હતો. સ્થાનિક પીઆઇનો પોતાના વિસ્તારમાં કંટ્રોલ ના હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં અનેક નાના મોટા ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યા છે. લાલજી નામના વ્યક્તિની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સમગ્ર મામલે ભીનું સંકેલવા પ્રયત્ન કરી રહી હોય તેવું લાગે છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
ઇસનપુર પીઆઇ ડી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓ અગાઉ જુગાર રમાડતા હતા, પરંતુ ગઈકાલે જે બનાવ બન્યો તે જૂની અદાવતના કારણે બન્યો છે. અમે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.

