
સુરતના નવાગામ વિસ્તારમાં એક ઘરમાંથી 43 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. આસપાસના રહીશોને જાણ થતાં 108ને જાણકારી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસે મહિલાનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. જોકે હજુ કોઈ પરિવારજનો આવ્યા નથી. બિહારથી આવવા રવાના થયા છે.
એક દિવસ પહેલા જ બિહારથી સુરત આવ્યા હતા
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, નવાગામ વિસ્તારમાં 43 વર્ષીય અજફરી ખાતુન ભાડાના મકાનમાં રહેતા હતા. એક દિવસ પહેલા જ બિહારથી સુરત આવ્યા હતા. દીકરી અને જમાઈ દ્વારા નવાગામમાં વતનવાસીઓ નજીક ભાડાનું મકાન અપાવ્યું હતું. દરમિયાન ગતરોજ બપોર બાદ મહિલા ઘરની બહાર નીકળી ન હતી.
સિવિલ હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરાઈ
મહિલા ઘરની બહાર ન આવતા આસપાસના રહીશોએ તપાસ કરતા મહિલા બેભાન મળી હતી અને મોત થઈ ગયું હોવાની શંકા હતી. જેથી રહીશોએ મહિલાની દીકરી અને જમાઈને જાણ કરી હતી. જોકે તેઓ ન આવતા આખરે 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108માં મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.
દીકરી અને જમાઈ સિવિલ આવ્યા નહિ
મહિલાની સાથે આવેલા રહીશોએ તેના દીકરી અને જમાઈને જાણ કરી હતી. જોકે તેઓ ન આવતા આખરે વતન રહેતા અન્ય પરિવારોના અને પોલીસને પણ જાણ કરાઇ હતી. ત્યારબાદ પોલીસે પરિવારને જાણ કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરિવારજનો બિહારથી આવવા રવાના થઈ ગયા છે. પોલીસે હાલ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યો છે. પરિવારજનો આવ્યા બાદ મૃતદેહ તેમને સોંપવામાં આવશે.

