
- હીરાબા શ્વાસની તકલીફને કારણે મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતાં
- મોદીએ અંતિમ શીખ યાદ કરી-કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી
- મોદીએ ટ્વીટ કરી કહ્યું- એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં
PMએ દીકરા તરીકેની ફરજ નિભાવ્યા પછી હવે વડાપ્રધાન તરીકેની ફરજ પણ બજાવી છે. તેઓ ગાંધીનગર રાજભવનથી વીડિયો-કોન્ફરન્સથી જોડાઈ ગયા છે. વીડિયો-કોન્ફરન્સથી તેમણે બંગાળને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. તેમણે હાવડા-ન્યુ જલપાઈગુડી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
બંગાળમાં આજે પીએમ મોદી 7,800 કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટોની શરુઆત કરાવશે. તેમાં કોલકાતા મેટ્રોની પર્પલ લાઈનના જોકા-તારાતલા ફેઝનું ઉદ્ધાટન, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેનું સૌથી મોટા સ્ટેશનોમાંથી એક ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશનનું 334.72 કરોડ રુપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાને મુખાગ્નિ આપી હતી
વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
હીરાબા મોદીનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. 100 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને કફની ફરિયાદ પણ હતી.
મોદીએ પોતે ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. એ બાદ સવારે 7.45 કલાકે અમદાવાદ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા ગાંધીનગરના રાયસણ ગામમાં ભાઈ પંકજ મોદીના ઘરે ગયા હતા. મૃતદેહને અહીં રાખવામાં આવ્યો હતો. મોદી પહોંચતાં જ હીરાબાની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ હતી. સેક્ટર-30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
મોદીએ તેમનો નિર્ધારિત કોઈપણ કાર્યક્રમને રદ કર્યો નથી. અંતિમસંસ્કાર બાદ તેઓ સીધા અમદાવાદના રાજભવન ગયા હતા. અહીંથી જ તેઓ રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભેગા થશે અને પ્રોજેક્ટ્સ શરૂ કરશે.
હીરાબાની અંતિમયાત્રા અને ભાવુક મોદી…




હીરાબાની અંતિમયાત્રાના ફોટો…




વડાપ્રધાન મોદી અંતિમસંસ્કાર બાદ તમામ નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેશે
PMOએ ટ્વીટ કરીને માહિતી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમસંસ્કાર પછી તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બંગાળમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે. પહેલા વડાપ્રધાને બંગાળ જવાનું હતું. અહીં સ્વચ્છ ગંગા મિશનના પ્રોજેક્ટના ઉદઘાટન દરમિયાન બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ઉપરાંત ઉત્તરાખંડ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
શંકર સિંહ વાઘેલા મોદી પરિવાર સાથે સ્મશાન પહોંચ્યા હતા. અહીં તેમના મોદી સાથેના લાગણીભર્યા સંબંધો દેખાયા હતા.

