
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ઠ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અન્ય સ્થાનિક પાર્ટી તથા અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરવા માટે ધસારો રહેશે. પ્રથમ તબક્કાના તમામ પક્ષે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન છે ત્યારે પ્રચાર કરવા પહોંચેલા AIMIM ઓવૈસીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સભા સંબોધતા ઓવૈસીને હાજર લોકોએ કાળા વાવટા બતાવ્યા હતા અને પરત જાવ પરત જાવના નારા લગાવ્યા હતા. અમિત શાહે અમદાવાદના બે ઉમેદવારને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. જોકે ભાજપનું હજુ અમદાવાદની એક બેઠકનું કોકડું ગૂંચવાયું છે. વટવા બેઠક પર પ્રદીપસિંહ જાડેજાને ટિકિટ મળશે કે કોઈ નવો નિશાળિયો આવશે એ હજુ અસ્પષ્ટ છે.
વાઘોડિયામાં સત્યજીતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો
કોંગ્રેસ દ્વારા રવિવારે મોડી રાત્રે 33 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક ઉપર પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને ડભોઇ બેઠક ઉપર ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક ઉપર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજીતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના 100 હોદ્દેદારો સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામુહિક રાજીનામા આપી દીધા હતા.
સુરતમાં ઓવૈસી પરત જાવના નારા લાગ્યા
સુરતમાં 159 પૂર્વ વિધાનસભા બેઠકમાં AIMIMની સભા હતી. જેમાં અસુદ્દીન ઓવૈસીની સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. રૂદરપુરા ખાડી વિસ્તારમાં ઓવૈસીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્રિત થયા હતા. જો કે આ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાને કારણે ઓવૈસીની નજર આ બેઠક ઉપર છે. ત્યાં જ ઔવેસીનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. AIMIMના નેતા ઓવૈસી સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં સભાને સંબોધતા હતા. આ બેઠક પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. આ બેઠક ઉપર જો મુસ્લિમ કાર્ડ ચાલી જાય તો તેમને સફળતા મળે તેવી પણ શક્યતા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે તેમની સભામાં જ ભારે હોબાળો થયો હતો. મુસ્લિમ યુવકોએ નારા લગાવીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો. પરત જાવ..પરત જાવના નારા લાગ્યા હતા.

સુરતમાં સ્થાનિકોએ ઓવૈસીને કાળા વાવટા બતાવ્યા
જસદણમાં કુંવરજી બાવળિયાનું શક્તિ પ્રદર્શન
રાજકોટ જિલ્લાના એપી સેન્ટર જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયાને ભાજપમાંથી ફરી રિપીટ કરી ટિકિટ આપવામાં આવી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કુંવરજી બાવળિયાએ પોતાના ગઢ જસદણમાં શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ ડીજેના તાલે 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાયા હતા. કુંવરજી બાવળિયા રેલીમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાઇને કેસરીયો લહેરાવ્યો હતો. ભાજપના ઝંડા સાથે કાર્યકરો જોવા મળ્યા હતા. તેમજ બાવળિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જસદણના આટકોટ રોડ પર આવેલી GIDCથી જસદણ તાલુકા સેવા સદન સુધી 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી બાવળિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. તાલુકા સેવા સદન ખાતે તેઓ પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે.

કંચનબેન રાદડીયાનું ફોર્મ ભરાવવામાં વર્તમાન ધારાસભ્ય જોડાયા
ઠક્કરબાપાનગર સીટના ઉમેદવાર ફોર્મ ભરશે
ઠક્કરબાપાનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડિયા કાર્યકરો અને આગેવાનો સાથે કંચનબેન કલેકટર કચેરીએ ફોર્મ ભરવા રવાના થયા છે. તેમની સાથે મેયર કિરીટ પરમાર, નરહરી અમીન, ધારાસભ્ય વલ્લભ કાકડીયા, સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકરો જોડાયા છે. કંચનબેન રાદડિયા ઠક્કરબાપાનગરમાંથી કોર્પોરેટર પણ છે. કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા, ત્યારબાદ ત્યાંથી ફોર્મ ભરવા જવા સૌ સાથે રવાના થયા હતા. કંચનબેને જણાવ્યું હતું કે, તે વિકાસના મુદ્દા પર લોકો વચ્ચે વોટ માંગવા જશે. લોકોની પાયાની જરૂરિયાત અને સગવડ પુરી કરવામાં આવશે. પક્ષે વિશ્વાસ મૂકીને જે જવાબદારી આપી છે તે પૂરી કરીશ.
કાંધલ જાડેજાએ એનસીપી છોડ્યું
કુતિયાણા બેઠક પર એનસીપીના ધારાસભ્ય રહેલાં કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. આ વખતે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં કુતિયાણાને બાકાત રખાયુ છે. માત્ર નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયા એમ ત્રણ બેઠક માટે જ ગઠબંધન કરાયું છે. ત્યારે કુતિયાણાની બેઠક ન સમાવાતાં દબંગ નેતા કાંધલ જાડેજાને એનસીપીએ મેન્ડેટ આપ્યું નહોતું, જેથી નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે. ત્યારે પાર્ટીએ કુતિયાણા બેઠક પર મેન્ડેટ ન આપતાં રાજીનામું ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કાંધલ પાર્ટીલાઈનથી અલગ થઈને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યા હતા.

ગૃહમંત્રીનું ગાંધીનગર લોકસભા બેઠકના બે ઉમેદવારને માર્ગદર્શન
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે અમદાવાદની વટવા વિધાનસભા સિવાય તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાતે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાબરમતી વિધાનસભા અને વેજલપુર વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સાબરમતીના ઉમેદવાર ડો. હર્ષદ પટેલ અને વેજલપુરના ઉમેદવાર અમિત ઠાકર અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. વેજલપુર અને સાબરમતીના રાણીપ ખાતે કાર્યાલય પર અમિત શાહ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં હાજર રહેલા ભાજપના કોર્પોરેટરો, કાર્યકર્તાઓનું તેઓએ અભિવાદન ઝીલ્યું હતું.
કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં 33 ઉમેદવાર જાહેર કર્યા
વિધાનસભા ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે આજે એક જ દિવસમાં બીજી યાદી જાહેર કરી છે, જેમાં વધુ 33 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જિજ્ઞેશ મેવાણીને વડગામ અને તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અત્યારસુધીમાં 142 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપની બાકી 16 ઉમેદવાર માટે ચર્ચા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે ગાંધીનગર કમલમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહ્યા છે. સી. આર. પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે. ભાજપે અત્યારસુધી 166 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ત્યારે આ બેઠકમાં બાકીના 16 ઉમેદવારના નામને લઇ ચર્ચા કરવામાં આવી રહી છે. અમિત શાહની બેઠક બાદ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવી શકે છે, જેમાં ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટાબેન પટેલને ટિકિટ મળી શકે છે. તો મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ અને હિમંતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરાઈ શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડીડી પટેલને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે. તો પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનાં નામ ચર્ચાઈ રહ્યાં છે.
નારાજ નેતાને મનાવવા કોંગ્રેસે બેઠક કરી
કોંગ્રેસે પ્રથમ તબક્કાનું કોંકડું ઉકેલતાં વધુ 6 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના નેતાઓ સાથે આજે બેઠક કર્યા બાદ કોંગ્રેસે 6 નવા ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના નારાજ નેતા મનહર પટેલને બોટાદ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠકમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું. અંતે, પાટીદાર નેતાને ટિકિટ આપતાં મનસુખ કાલરીયાનું નામ જાહેર કર્યું છે.

અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જાહેરાત કરી છે કે ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લઢશે. અરવિંદ કેજરીવાલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે ખેડૂત, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષોથી અવાજ ઉઠાવનારા ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમિથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે.

ઝંખના પટેલની ટિકિટ કપાતાં ચોર્યાસી બેઠક પર વિવાદ વકર્યો
ઇતિહાસમાં પહેલી વખત ચોર્યાસી બેઠકમાં ઉમેદવારની પસંદગીને લઈને ભારોભાર વિરોધ નોંધાતાં ભાજપમાં પણ અંદરઅંદર ગણગણાટ શરૂ થઈ ગયો છે. સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખનાબેનની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે, જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યાં કોળી પટેલ મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે.


