
- BJPના રોડ શો અને ભીડ એકઠી કરવાના ટાર્ગેટ સામે ખુદ પાર્ટીમાં જ ગણગણાટ
- પ્રજા પર સૂરી પોલીસ આજે માત્ર ‘ચોકીદાર’ની ભૂમિકામાં, મુખ્ય રસ્તાઓ બંધ
રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો શરૂ થયો છે. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી છે. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. રોડ શો દોઢ કિમી લાંબો છે, જેમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળી રહ્યો છે. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા છે.

વરઘોડા અને ધાર્મિક મેળાવડાઓને કારણે કોરોના વિસ્ફોટ થયોઃ આરોગ્યમંત્રી
સામાજિક અને ધાર્મિક મેળાવડા પણ થયા જ છે ને. ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીએ બેજવાબદાર નિવેદન કર્યું છે. ગુરુવારે પત્રકારોને સંબોધતી વખતે જ્યારે વાઈબ્રન્ટ સમિટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઋષિકેશ પટેલ ગુસ્સે થઈ ગયા. વાઈબ્રન્ટના સવાલનો જવાબ આપવાને બદલે મંત્રીજી એવું બોલ્યા કે, ગુજરાતમાં સ્થિતિ કાબૂમાં છે, અને આ સ્થિતિમાં જ ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ થયા જ છે. હદ તો ત્યારે થઈ જ્યારે એવું પણ કહ્યું કે, આ જ પરિસ્થિતિમાં જાનૈયાઓ રોડ પર વરઘોડા પણ કાઢતાં હતાં. આડકતરી રીતે તેમનો ઈશારો એવો હતો કે, આ બધા કારણોથી જ કોરોનાના કેસ વધ્યા છે. ઋષિકેશ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, આપણે આવી માનસિકતામાંથી બહાર આવવવાની જરૂર છે.

એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.



ભીડથી દૂર રહેવામાં જ ભલાઈ
રોડ શોમાં તાયફા કરી ભાજપ નહીં સુધરે, પણ રાજકોટિયનો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખુદ રાખવાનું છે અને આવી ભીડથી દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો બીજી લહેર કરતાં પણ સ્થિતિ વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની એકત્રિત થવાનું નિશ્ચિત છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપરસ્પ્રેડર બનવાનું જોખમ છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ, બેન્કકર્મચારીઓનાં ધ૨ણાં ક૨વાની પણ મંજૂરી ન હતી છતાં ભાજપ સામે વહીવટી તંત્ર દંડવત થઈ ગયું છે.



રોડ શોના રૂટમાં ડીજેના તાલે નૃત્યો જોવા મળશે
રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતાં રહેશે તેમજ કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા રહેશે. આ દરમિયાન 1000 બાઈકની વિશાળ રેલી પણ હશે. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.


અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા
ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ થશે. બપોરે 1.10 કલાકે સમાપન સમારોહ પૂર્ણ જાહેર થશે ત્યાર બાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટસિટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરી બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરશે. રોડ શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર રહેશે. અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.


રાજકોટ સીએમ રોડ શોનો રૂટ
- 10.30 વાગે એરપોર્ટ પર આગમન
- એરપોર્ટ પર સ્વાગત થશે
- સીઆર પાટીલ ફ્લેગઓફ કરશે
- એરપોર્ટથી રોડ શોની શરૂઆત થશે
- એરપોર્ટથી નીકળીને રેસકોર્સ રોડ
- રેસકોર્સથી કિસાનપરા ચોક
- કિસાનપરાથી જિલ્લા પંચાયત ચોક
- જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ
- યાજ્ઞિક રોડથી ધર્મેન્દ્રસિંહ કોલેજે પૂર્ણ થયો

આટલા માર્ગો પર પ્રવેશ બંધ, નો પાર્કિંગ
- એરપોર્ટ ફાટક, જૂની એનસીસી ચોકથી મેયર બંગલો, કિસાનપરા, જિલ્લા પંચાયત ચોક સુધી, રેસકોર્સ રિંગ રોડની અંદરની સાઇડનો રોડ તથા જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ, હરિભાઇ હોલ સુધીના રોડ પર વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ રહેશે.
- એરપોર્ટ ચોકથી રેસકોર્સ નહીં જઇ શકાય, હનુમાનમઢી તરફ વળવું પડશે
- પોલીસ હેડ ક્વાર્ટર્સથી એનસીસી ચોક તરફ પ્રવેશ બંધ, જામનગર રોડથી ભોમેશ્વર તરફ જવું પડશે
- રૈયા રોડથી આમ્રપાલી અંડરબ્રિજ નહીં જઇ શકાય, આઝાદ ચોકથી સ્વામિનારાયણ મંદિર તરફ જવું પડશે.
- મહિલા અંડરબ્રિજથી કિસાનપરા પ્રતિબંધિત, એસ્ટ્રોન તરફ વળી શકાશે.
- ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત તરફ વાહનોને નો એન્ટ્રી, મોટીટાંકી ચોકથી જિમખાના રોડ જવું પડશે.
- ભીલવાસથી યાજ્ઞિક રોડ તરફ નહીં જઇ શકાય, મોટીટાંકી ચોકથી જવું.


