
- ભંગારમાં રહેલ કોઈ વિસ્ફોટક વસ્તુથી વિસ્ફોટ થયો હોવાની પણ ચર્ચા
ઉપલેટામાં આજે સવારે 9થી 9:30 વાગ્યાની આસપાસ ભંગારના ડેલામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્ફોટ થતા ત્યાં હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. ઉપલેટા પોલીસેને બનાવની જાણ થતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ બનાવમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી જતાં ઘડાકો થયાનું તારણ કાઢવામાં આવ્યું છે. હાલ મૃતક પિતા-પુત્રના શબને કોટેજ હોસ્પીટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓનું ફોરેન્સીક પી.એમ. કરવા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

મુસ્લીમ સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ
પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટામાં જુની પુરોહીત લોજ પાસે આવેલ ભંગારના ડેલામાં પિતા-પુત્ર સહીત કારીગરો કામગીરી કરી રહયા હતા. ત્યારે અચાનક વિસ્ફોટ થતા પિતા રજાકભાઇ અલીભાઇ કાણા તથા પુત્ર રહીશ રજાકભાઇ કાણાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ભંગારના ડેલામાં રહેલા અન્ય 3 વ્યકિતઓ દુર કામ કરી રહયા હોવાથી તેમનો બચાવ થયો હતો. એક સાથે પિતા-પુત્રના મોત થતા મુસ્લીમ સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

દિવાલમાં પણ ગાબડા પડી ગયા
ભંગારના ડેલાના ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કામ કટરથી કરવામાં આવી રહયુ હતું ત્યારે અથવા તો ભંગારમાં રહેલ કોઇ વિસ્ફોટક વસ્તુથી વિસ્ફોટ થયો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે. વિસ્ફોટ એટલો મોટો હતો કે બંને લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં અને દિવાલમાં પણ ગાબડા પાડી દીધા હતા. આ બનાવની જાણ થતા હાલ ઘટના સ્થળ ઉપર ઉપલેટા પોલીસ મામલતદાર ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા ઘટના સ્થળ ઉપર આવી નિરીક્ષણ કર્યું હતું. ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડીવાયએસપી સહીતની ટીમ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે.

