
- 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં
- પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી
ગત રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.

બ્રેક પૂરતી મારી હોવા છતાં અકસ્માત સર્જાયોઃ ડ્રાઈવર
ડમ્પરના ડ્રાઈવર પુનાલાલ કેવટ (મૂળ રહે મધ્ય પ્રદેશ)એ જણાવ્યું હતું કે, અરેઠથી ખાલી ડમ્પર લઈને ઓલપાડ કપચી ભરવા માટે જતો હતો. દરમિયાન સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટરની પાછળની લારી સાથે તેનું ડમ્પર અથડાયું અને પછી તેને કંઈ ખ્યાલ ન રહ્યો. બ્રેક પૂરતી મારી હોવા છતાં અકસ્માત સર્જાયો હતો. છેલ્લા પાંચ વર્ષથી ડમ્પર ચલાવી રહ્યો છે તેને જમણા હાથ અને માથાના ભાગે તથા ડાબા હાથમાં ઇજા પહોંચી છે. તેનો પરિવાર મધ્ય પ્રદેશમાં રહે છે અને દિવસે બે ફેરા માર્યા બાદ રાત્રે પણ એક ફેરો મારીને જમીને પછી ફરીથી ખાલી ડમ્પર લઈને ક્વોરી પર જતો અને ત્યાં સૂઈ જવાનો પ્લાન કર્યો હતો અને સવારે ડમ્પર ભરીને ફરીથી કપચી ખાલી કરવા માટે માટે જવાનો હતો.

ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરે કાબૂ ગુમાવ્યો
મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કિમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્મરચાલકે કિમ ચાર રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં ત્યાં સૂતેલા 20 શ્રમિકને કચડી નાખ્યા હતા. ભરનીંદરમાં રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં અન્ય 3નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસકર્મીઓએ લાશને ટેમ્પોમાં ભરી
નીંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટા ભાગના મૃતકોની ડેડબોડી કચડાઈ ગઈ હતી. એકસાથે 12 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નીંગળતી હાલતમાં 12 ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.

મૃત્યુ પામેલાં કમભાગીઓ
- સફેશા ફ્યુચઇ
- શોભના વસાનિયા
- રાકેશ રૂપચંદ
- દિલીપ ઠકરા
- નરેશ બાલુ
- વિકેશ મહીડા
- મુકેશ મહીડા
- લીલા મુકેશ
- મનીષા
- ચધા બાલ
- અનિતા મનીષ મહીડા
- દિલીપ અકરમભાઈ વસાનિયા
- બે વર્ષની છોકરી
- એક વર્ષનો છોકરો

મુખ્યમંત્રીએ શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.

તમામ મૃતક શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડાના
બેકાબૂ બનેલા કાળમુખા ડમ્પર નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમિયાન કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, ડમ્પર આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા.


