હત્યાનો ભેદ ઉકેલાયો:રાજકોટમાં પાનની કેબિન પાસે ગાંજો પીવાની મનાઈ કરતા વેપારીની હત્યા, 5 પૈકી 4 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

By Abhishek Raghuvanshi
2 Min Read

રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર પાનની દુકાન નજીક ગાંજો પીવાની મનાઈ કરતાં 5 શખ્સોએ વેપારીને છરીના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી. આ ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં 4 શખ્સોની ધરપકડ કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
ગત તારીખ 15 ઓગસ્ટની રાત્રે 10 વાગ્યા આસપાસ મૃતક વિજય બાબરીયા (ઉ.વ.35) નામના વેપારીની પાનની કેબિન નજીક 5 જેટલા શખ્સો ગાંજો પી રહ્યા હતા અને ગાળો બોલી રહ્યા હતા. વિજયે આ ત્રણેય શખ્સોને ગાંજો પીવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાયા હતા અને વિજયને અપશબ્દો કહીને ધમકી આપી હતી કે, કાલે તને જોઈ લેશું અને આ ધમકી મુજબ 16 તારીખે સવારે 11 વાગ્યા આસપાસ ત્રણથી ચાર જેટલા શખ્સો આવીને વિજય પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

7-8 છરીના ઘા ઝીંકી ઢળી પડ્યો
વિજયને આ શખ્સોએ ગળા, છાતી અને પેટનાં ભાગે 7-8 છરીના ઘા ઝીંકી દેતા વિજય ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં વિજયના ભાઈ અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને વિજયને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિજયની હત્યા નીપજાવનાર આ 5 શખ્સોની પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.

4 શખ્સોની ધરપકડ કરી લીધી
ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, SOG તેમજ સ્થાનિક પોલીસની ટીમો આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં આરોપી રાહિલ સાંઘ, અરમાન બ્લોચ, અયાન સોલંકી અને સકિલ પરમાર નામના 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

2 દિવસમાં હત્યાના ત્રણ બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં 2 દિવસમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 દિવસમાં હત્યાના 2 ગુના નોંધાયા છે. જેમાં પ્રથમ ગુનામાં ધમલપર ગામ પાસે રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા નીપજાવવામાં આવી છે જ્યારે અન્ય બનાવમાં કુવાડવા ગામે ગરબી ચોકમાં યુવતી મામલે વિવાદમાં યુવકને તેના જ મિત્રએ પાઇપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Exit mobile version