દેશભરમાં આજથી JEE મેઇન્સની પરીક્ષા શરૂ થઈ છે. IIT અન NITમાં પ્રવેશ મેળવવા માટે JEEની પરીક્ષા લેવામાં આવે છે. આજથી શરૂ થયેલી પરીક્ષા 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. દર વર્ષે 2 વખત JEEની પરીક્ષા લેવામાં આવે છે. અમદાવાદના પણ 2 સેન્ટર પર પરીક્ષા ચાલી રહી છે.
બે તબક્કામાં પરીક્ષા લેવાઈ રહી છે
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર JEEની પરીક્ષા માટે સેન્ટર આપવામાં આવ્યા છે. 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે, જેમાં એક સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને બીજું બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેવામાં આવે છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા અથવા ધોરણ 12 સાયન્સ પાસ કરી દીધું હોય તેવા વિદ્યાર્થીઓ JEEની પરીક્ષા આપે છે. ગુજરાત સહિત દેશભરમાં 8.60 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 1 ફેબ્રુઆરી સુધી JEEની પરીક્ષા ચાલશે.
ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓની અમદાવાદ પૂર્વમાં પરીક્ષા
સામાન્ય રીતે દર વર્ષે બોપલ વિસ્તારમાં JEEની પરીક્ષાનું કેન્દ્ર રાખવામાં આવે છે. આ વખતે ઓઢવ રિંગ રોડ પર જ 2 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે, જેથી અમદાવાદ સહિત ગાંધીનગર, કડી, કલોલના વિદ્યાર્થીઓ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓને એક છેડેથી બીજા છેડે લાંબુ થવું પડ્યું છે, જેના કારણે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.
