222 વર્ષ અગાઉ બ્રિટિશરોએ એક પણ ગોળી ચલાવ્યા વગર કબજો લીધો હતો, તે ભુજિયા પર લહેરાશે સ્વતંત્ર ભારતનો ધ્વજ

By Abhishek Raghuvanshi
1 Min Read
  • સ્મૃતિવનમાં 26 જાન્યુઆરીથી લહેરાશે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ

ઇ.સ.1819ના માર્ચ મહિનામાં બ્રિટિશ લશ્કર કચ્છની રાજધાની પહોંચી ગયું હતું અને ભુજ નજીક પડાવ નાખી કચ્છી લશ્કર સામે લડાઇ કરવાની યોજના કરી હતી. મહારાવને તાબે થઇ જવા કહેણ મૂકવામાં આવ્યું પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો કે તુરંત ભુજિયાના કિલ્લા પર ચડી જઇ કોઇ પણ ખુવારી વગર બ્રિટિશ લશ્કરે તેનો કબજો લીધો હતો.(સંદર્ભ : કારા ડુંગર કચ્છજા) ભૂકંપમાં મૃતકોની યાદમાં ભુજીયા ડુંગરમાં બનેલા સ્મૃતિવનમાં એક પછી એક આકર્ષણ ઉમેરાતા જાય છે. આગામી 26 જાન્યુઆરીએ જ્યાં ગણતંત્ર દિન ઉજવાશે તે જગ્યાએ સો ફૂટ ઊંચા રાષ્ટ્રીય ધ્વજ લગાવવા માટેની તૈયારીઓ ભુજ સુધરાઇ દ્વારા શરૂ થઈ ગઈ છે.

અર્થકવેક મ્યુઝિયમની આગળના ભાગમાં સિમેન્ટના મજબૂત પાયા બનાવી અને પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે. જ્યારે તેમાં 100 ફૂટ ઊંચા પોલ રોપવામાં આવશે તેનું કામ પણ અંતિમ તબક્કામાં છે. તેના પર 30 × 40 મીટરનો ભારતનો વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાશે. જો કે, આ પ્રસંગે સ્થાનિક રાજકીય નેતાઓ સિવાય કોણ આવશે તે નક્કી નથી. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિવનની જ્યારે ડિઝાઇન બનાવવામાં આવી રહી હતી ત્યારે ભુજીયા કોઠા પાસે એકદમ ઊંચાઈએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવે એવું સૂચન સ્થાનિક સ્તરે કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણથી શક્ય બન્યું ન હતું. જે આજે તળેટીના ભાગમાં લગાવીને શક્ય બનશે.

Exit mobile version