
શહેરમાં સોનીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી યુવાને આપઘાત કરવા માટે સમા વિસ્તારમાં આવેલી એક હોટલનો રૂમ ભાડે રાખ્યો હતો. અને રૂમમાં ગયા બાદ ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે. આ યુવાન વેપારીએ આપઘાત કરતા પહેલાં જમવાનો પણ ઓર્ડર આપ્યો હતો. હોટલમાં જઇ રૂમ ભાડે રાખવા માટે કાઉન્ટર ઉભા રહેલા યુવાનનો રૂમમાં જતા પૂર્વેના CCTV સામે આવ્યા છે. જોકે, આ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે. સમા પોલીસ આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.
રૂમ નંબર 405 ભાડે રાખ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે સમા-સાવલી રોડ ઉપર આવેલી આકાશ ગંગા સોસાયટીમાં પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે રહેતા ધર્મેશભાઇ ડાહ્યાભાઇ પરમાર (ઉં.45) સોનીના વ્યવસાય સાથે ફાઇનાન્સનું કામ કરતો હતો. સોમવારે મોડી સાંજે તે સમા-સાવલી રોડ ઉપર આવેલી રોયલ કિંગ નામની હોટલમાં ગયો હતો. અને ઘરે મહેમાન આવવાના છે તેમ જણાવી રૂમ બુક કરાવ્યો હતો. હોટલના વહીવટકર્તાઓએ તેને રૂમ નંબર-405 ફાળવ્યો હતો
દરવાજો ન ખોલતા શંકા
હોટલમાં રૂમ બુક કરાવ્યા બાદ ધર્મેશ પરમાર રૂમમાં ગયો હતો. અને રૂમમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. થોડા સમય બાદ હોટલનો રૂમ સર્વિસ બોય જમવાનું લઇને ગયો હતો. રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, દરવાજો અંદરથી બંધ હતો. અને કોઇ પ્રત્યુત્તર ન મળતા રાહ જોઇ હતી. સમય વિતવા છતાં, રૂમ ન ખોલતા તેને શંકા ગઇ હતી. આથી તેણે હોટલના વહિવટકર્તાને જાણ કરી હતી.
હોટલની માસ્ટર કી થી દરવાજો ખોલ્યો
દરમિયાન હોટલના વહીવટકર્તા માસ્ટર કી લઇને રૂમ નંબર-405 ઉપર પહોંચ્યા હતા. અને રૂમનો દરવાજો ખોલ્યો હતો. રૂમનો દરવાજો ખોલતા ધર્મેશ પરમાર રૂમના બેડ ઉપર છતા પાટ બેભાન અવસ્થામાં પડ્યો હતો. તુરતજ હોટલના કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનીટોમાં આવી પહોંચી હતી. પરંતુ, એમ્બ્યુલન્સના તબીબોએ પ્રાથમિક તપાસમાંજ મૃત જાહેર કર્યો હતો.
પોઇઝનની બોટલ મળી આવી
આપઘાત કરવા માટેજ રૂમ ભાડે રાખનાર ધર્મેશ પરમારનું મોત નીપજ્યું હોવાનું 108 એમ્બ્યુલન્સના તબીબોએ જણાવતા તુરતજ આ બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવી હતી. સમા પોલીસ મથકના જમાદાર કાનજીભાઇ તુરતજ સ્ટાફ સાથે હોટલ ઉપર પહોંચ્યા હતા. પોલીસે મોતને ભેટેલા ધર્મેશ પરમારના ખીસ્સા તપાસતા પર્સ મળી આવ્યું હતું. જેમાંથી તેનું નામ અને ઘરનું સરનામું મળી આવ્યું હતું. તે સાથે પોલીસને રૂમમાંથી પોઇઝનની બોટલ મળી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ અને પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
હોટલ બહાર ટોળા ઉમટી પડ્યા
બીજી બાજુ આ બનાવની જાણ ધર્મેશ પરમારના પરિવારજનોને કરતા તુરતજ તેઓ હોટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ધર્મેશ પરમારનો મૃતદેહ જોતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. અને રોકકડ શરૂ કરી દીધી હતી. આ બનાવે હોટલની આસપાસ તેમજ મૃતક ધર્મેશની સોસાયટી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. મોડી રાત્રે હોટલ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
મારો ભાઇ જોલી હતો
આજે ધર્મેશ પરમારના મૃતદેહનું પોષ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા માટે આવેલા મૃતકના ભાઇ રાજેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું કે, મારો ભાઇ જોલી માણસ હતો. તે આપઘાત કરેજ નહિં. તે હોટલમાં કેમ આવ્યો તે તપાસનો વિષય છે. તે વ્યાજના કોઇ ચક્કરમાં ફસાયો ન હતો. આર્થિક રીતે સધ્ધર હતો. મારા ભાઇના મોત અંગે તટસ્થ તપાસ થાય તેવી મારી માંગણી છે.
સમા પોલીસે તપાસ શરૂ કરી
આ ચકચારી બનાવ અંગે સમા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, ધર્મેશ પરમારે ચોક્કસ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે રહસ્ય અકબંધ છે. પોલીસ તપાસ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
