રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે ખુશખબર આવ્યા છે. આગામી 21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સ નિયમિત ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ફ્લાઈટનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે અને ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રૂટના રસ્તાઓ ખરાબ હોવાથી ફ્લાઈટ શરૂ થતાં લોકોને મોટી રાહત મળશે. વેપાર અર્થે ઉદયપુર આવતા-જતા લોકો તેમજ નાથદ્વારા દર્શને જતા ભાવિકોમાં આ નિર્ણયથી આનંદની લાગણી જોવા મળી રહી છે.
સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટથી રાજકોટ-ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની નિયમિત ફ્લાઈટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ફ્લાઈટનું રાજકોટ ઉદયપુરનું ભાડુ રૂ. 2800 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટથી નાથદ્વારા દર પૂનમે અને રજાના દિવસોમાં દર્શને જતાં લોકો માટે ફ્લાઈટ સુવિધારૂપ બની રહેશે.
ડેઈલી ફ્લાઈટ શરૂ થતાં સુવિધા વધશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટથી ઉદયપુર સુધી હાલ રસ્તા સાવ બિસ્માર હોય વાહન માર્ગે જવામાં અકસ્માતોનો સતત ભય રહે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં વેપાર-ધંધા માટે જતાં લોકો માટે પણ આ ડેઈલી ફ્લાઈટ શરૂ થતાં સુવિધા વધશે. રાજકોટ સૌરાષ્ટ્રમાંથી રમણીય શહેર ઉદયપુરમાં ફરવા માટે પણ મોટા પ્રમાણમાં લોકો જાય છે. તેના માટે પણ આ ફ્લાઈટ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે જ આગામી સપ્ટેમ્બરથી માર્ચ સુધીની ટુરિસ્ટ સિઝન ધ્યાને રાખી સુરતની પણ ડેઈલી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
