નવસારીમાં ફાર્મહાઉસ અને બંગલાની સામે જરીના વેપારીએ રૂા. 81 લાખનું રોકાણ કર્યું હતું, સમયસર બાંધકામ તેમજ દસ્તાવેજ પણ નહીં થતા વેપારીએ બે બિલ્ડરો સામે વરાછા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.
ગોપીપુરાના વાડી ફળિયા પોલીસ ચોકી પાસે નાની છીપવાડમાં રહેતા ધવલ ભગવાનદાસ જરીવાલા જરીના વેપાર સાથે સંકળાયેલા છે. 2012-13માં તેઓએ લંબેહનુમાન રોડ ઉપર ત્રિકમનગરમાં રહેતા નરેશ અરજણભાઇ દેવાણી અને ચંદ્રેશ પ્રવિણભાઇ કોટડીયાનો મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ઓલપાડમાં પ્લોટ દલાલ અયાન કાપડીયા હસ્તક ખરીદ્યો હતો. ત્યારબાદ અયાને ધવલ જરીવાલાને નવસારીમાં પામ રિવેરા ફાર્મ હાઉસ અને બંગ્લા બતાવ્યા હતા. અહીં ધવલભાઇને પ્લોટ પસંદ આવી જતા તેઓએ સોદો નક્કી કર્યો હતો અને અયાન કાપડીયાની જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલી આડતીયા આવાસની ઓફિસમાં બુકીંગ માટે બોલાવ્યા હતા. અહીં પહેલાથી જ નરેશ દેવાણી તેમજ અયાન હાજર હતા. ધવલભાઇએ પામ રિવેરામાં ત્રણ પ્લોટ બુક કરાવ્યા હતા.
નરેશ દેવાણી, જગદીશ નાથાણી વિરુદ્ઘ ગુનો
ધવલભાઇએ ઓલપાડમાં જે સાઇટ ઉપર રોકાણ કર્યું હતું ત્યાં પહોંચી શકે તેમ ન હોવાથી ત્યાં જમા કરાવેલા 18 લાખ પામ રિવેરામાં ટ્રાન્સફર કરી લેવાયા હતા. બે વર્ષના સમયગાળામાં પજેશનનો વાયદો હતો પરંતુ સમયે બાંધકામ થઇ શક્યું ન હતું. ધવલભાઇએ બે વર્ષ બાદ નરેશ દેવાણી તેમજ ભાગીદાર જગદીશ ઘનશ્યામ નાથાણી (રહે. મારૂતી બંગ્લોઝ, વરાછા)ની પાસે ઉઘરાણીઓ કરી હતી.જોકે, ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
