- બિપોરજૉય (આફત) વાવાઝોડું પોરબંદરથી 1,060 કિમી દૂર, 48 કલાકમાં તીવ્રતામાં વધારો થયો
- 6 દિવસથી સ્થિર ચોમાસું 9મીએ કેરળ પહોંચી જશે એવી સંભાવના
- 9-10 જૂને સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘બિપોરજૉય’ એટલે કે આફત વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું છે. સાથે જ સમુદ્રમાં જ્યાં વાવાઝોડું ઉદ્ભવ્યું હતું, તેની દક્ષિણે અટકેલા ચોમાસા માટે માર્ગ મોકળો કરતું ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 9 જૂને ચોમાસું કેરળ પહોંચી શકે છે.
કેરળમાં વરસાદી વાદળો ઘેરાયા
જો કે, ચોમાસું 8 દિવસ મોડું છે, પરંતુ હવે તેની ગતિ વધી શકે છે. કેરળને સમાંતર જે સ્થળોએથી વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે, ત્યાં વાદળો ઘેરાઈ ગયાં છે. આ માટે બુધવારે કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારે પણ વરસાદની શક્યતા છે. તેને પગલે ચોમાસાની પૂર્વીય રેખા આગામી 24 કલાકમાં પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી શકે છે.
