લેસપટ્ટીથી આગ વિકરાળ બની:સુરતમાં પુણાની ગીતાનગર સોસાયટીમાં રાત્રે અચાનક આગ લાગી, ઘરમાં રહેતા લોકો ભરઊંઘમાં જ ભાગ્યા; આખા વિસ્તારની લાઈટ કાપવી પડી

By Abhishek Raghuvanshi
2 Min Read

સુરતના પુણાગામ સીતાનગર ચોકડી પાસે ગીતાનગર સોસાયટીના મકાનમાં ગત મોડીરાત્રે આગ લાગી હતી. જેને લઈને દોડધામ મચી ગઈ હતી. રેસિડેન્સ વિસ્તારમાં લાગેલી આગના કારણે આસપાસના લોકોમાં પણ ભય ફેલાયો હતો, તેમજ જે ઘરમાં આગ લાગી હતી તે ઘરના લોકો ભરઊંઘમાં જ ભાગતા બચ્યા હતા. બાદમાં ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે ઘરમાં લેસપટ્ટીનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ધૂમાડો જોતા જ ઘરના સભ્યો બહાર દોડી આવ્યા
રાત્રિના સમયે કોઈ કારણોસર એકાએક જ આગ લાગતા ઘરમાં રહેલા લોકો ધૂમાડો જોતાની સાથે જ બહાર ભાગી ગયા હતા. તેમજ ગણતરીની મિનિટોમાં જ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. રેસિડેન્સ વિસ્તારમાં આગ શરૂ થતાની સાથે જ આસપાસના લોકો પણ સોસાયટીના ઘરની બહાર આવી ગયા હતા. તેમજ ડીજીવીસીએલ વિભાગને જાણ કરતા સમગ્ર વિસ્તારની લાઈટ પણ બંધ કરવાની ફરજ પડી હતી.

ઘરમાં રહેલો સામાન બળીને ખાખ.

લેસપટ્ટીએ આગને ઝડપથી ઝપેટમાં લીધી
પુણાગામ વરાછા સરથાણા જેવા વિસ્તારોમાં સાડીને લેસપટ્ટી ચોટાડવાનું કામ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. લેસપટ્ટી હોવાને કારણે જ્યારે પણ આગ જેવી ઘટના બને છે ત્યારે ખૂબ વિકરાલ સ્વરૂપ ધારણ કરી લે છે. ગીતાનગરમાં લાગેલી આગમાં પણ આગ લાગતાની સાથે જ ઘરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લેસપટ્ટીનું મટિરિયલ પડેલું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી. લેસપટ્ટી અને સિલાઈના મશીનમાં આગ લાગી હતી.

ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો.

ઘરનું ફર્નિચર બળીને ખાખ
ઘરનું ફર્નિચર પણ સંપૂર્ણ રીતે બળી ગયું હતું. ઘરમાં જાણે ગોડાઉન બનાવી દીધું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ અન્ય ઘરમાં પ્રસરે તે પહેલા જ કાબૂ મેળવી લેતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

- Advertisement -
આગને કારણે લોકો એકત્ર થયા.
Exit mobile version