- ચેમ્બર પરથી પસાર થતાં મોપેડ પરથી પડી ગયો ને ડમ્પર ફરી વળ્યું
- બેદરકાર અધિકારીઓ સામે માજી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ
પાલના ગૌરવપથ પર ડમ્પર અડફેટે કિશોરના મોત બાદ પણ પાલિકાનું રાંદેર ઝોન પાલ મેઇન રોડ પર જોખમી બનેલા પાણીના વાલ ચેમ્બર અને ડ્રેનેજ ચેમ્બરને રિપેર કરવામાં આળસ કરી રહ્યું છે. તૂટેલા ચેમ્બરના ઢાંકણા તેમજ રોડથી અસમાંતર ચેમ્બરના લીધે અવાર-નવાર આ પ્રકારના અક્સ્માતોની ઘટના બની રહી હોવાની સ્થાનિકોએ આ અંગે ફરિયાદ કરી હતી. જોકે રાંદેર ઝોનના અધિકારીઓ તસ્દી લેતાં ન હોવાની માજી કોર્પોરેટરે પાલિકા કમિશનરને ફરિયાદ કરી હતી.
મળતી વિગતો અનુસાર, શહેરના પાલ વોર્ડના માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે પાલિકા કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, પાલ ગૌરવ પથ પર પાણીની વાલ્વ ચેમ્બરો અને ડ્રેનેજની ચેમ્બર તૂટેલી હાલતમાં તેમજ રોડથી અસમાંતર છે. જેના કારણે વાહન ચાલકો અચાનક સામે આવતાં તૂટેલા ઢાંકણાવાળી ચેમ્બરને લીધે ગબડી રહ્યાના બનાવ બની રહ્યા છે.
તેમણે તાકીદે તૂટેલા ઢાંકણા વાળા ચેમ્બર રિપેર કરવા સાથે જ પૅરેલલ રોડથી ચેમ્બર ખાડામાં કે ઊંચા ન થાય તેની ખાસ તાકીદ લેવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, પાલ ગૌરવ પથ પર તૂટેલી ચેમ્બરને કારણે મોપેડ પરથી પડી જતાં કિશોર ડમ્પર નીચે કચડાી ગયો હતો. છતાં તંત્ર ચેમ્બરોની મરામતમાં માટે આળસ કરી રહ્યું છે. આ લાપરવાહી હજુ કોઇ નિર્દોષનો ભોગ ન લે તેની ખાસ તાકીદ લેવા પણ અરજ કરાઇ હતી.
