રાધનપુરનાં સુખપુરા, રેલવે સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડવાની અદાવતમાં બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાંણુ ખેલાયું હતું. જેમાં કેટલાકને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઈ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરનાં રેલ્વે સ્ટેશન સુખપુરામાં રહેતા દશરથભાઇ રાયાભાઇ દેવીપૂજક તથા કરશનભાઈ તળશીભાઇનાં પિતાની જમીનમાં દશરથભાઇએ કરશનભાઇને ઢોર લઈને આવવાની ના પાડતાં તેની અદાવત રાખીને કરશનભાઇ તથા અન્યો લોકો પાઇપ, લાકડીઓ, ધારીયા સાથે આવીને દશરથને કહેલ કે, એકલો ખેતર બધાવીને પડ્યો છે તેમ કહી ગાળો બોલી હતી. જેથી દશરથે કહેલ કે, ખેતર મારા ભાગનું છે. તેમ કહેતાં કરશનભાઇ, નારણભાઇ, શ્રવણભાઇ, રાજુભાઇ, ગોપાલભાઇ તથા સુરેશભાઇએ દશરથને લાકડી પાઇપથી મારતાં તથા જીતુભાઈએ ધારીયું અને રાયાભાઇને ધારીયું માથામાં મારતાં ઇજા થઇ હતી. આ બનાવ અંગે પોલીસે છ શખ્સો સામે આઇપીસી 143/147/148/ 149/326/324/323/504મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સામ પક્ષે કરશનભાઈ તળશીભાઇએ પણ દશરથભાઈ અને રાયાભાઈ સામે ફરીયાદ નોધાવી એવો આક્ષેપ કર્યો હતો કે, કરશનભાઇનો દિકરો ઢોર લઇને ખેતરે જતાં અને આ ખેતર કરશન અને દશરથનાં પિતાજીનાં નામે હોવાથી આ ખેતર દશરથને એકલાને લઇ લેવું હોવાથી માથાકુટ કરી કાઢી મૂક્યા હતા. જેની અદાવત રાખીને ગઇકાલે કરશનભાઇને દશરથ અને રાચાભાઇએ કહેલ કે, તારા છોકરાઓ અમારા ખેતરમાં પગ મૂકવાની ના પાડી છે. તેમ છતાં ખેતરે કેમ આવે છે? તેમ કહી લાકડીથી મારમારતાં ઇજા થઇ હતી. પોલીસે આ મામલે પણ ગુનો નોંધ્યો હતો.
