નવા વર્ષથી શરુ થઇ રહેલી જ્ઞાનસાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા આગામી તા.11 જૂનને રવિવારના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી ગુજરાતી માધ્યમ માટે કુલ 3,93,786 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે અંગ્રેજી માધ્યમના 3,540 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં 64,354 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પરીક્ષામાં 120 માર્કના 120 MCQ ટેસ્ટ
સરકારી શાળાઓના ધો.8 પાસ વિદ્યાર્થીઓની આગામી 11 જૂનના રોજ રવિવારે લેવાનાર પરીક્ષામાં 120 માર્કના 120 MCQ ટેસ્ટ રહેશે. આ પરીક્ષાનો સમય સવારે 11થી 1.30 વાગ્યાનો રહેશે. પરીક્ષા આપ્યા બાદ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ધો.9 થી 12માં સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓને ધો.9 અને 10માં વર્ષે રૂ.20,000 તો ધો.11 અને 12માં વર્ષે રૂ.25,000ની શિષ્યવૃત્તિ મળશે.
જિલ્લાઓ પ્રમાણે બ્લોક અને વિદ્યાર્થીઓ
રાજકોટમાં કુલ 56 બિલ્ડિંગ પરથી 15,000 વિદ્યાર્થીઓ, અમરેલીમાં 11 તલુકા મથક પરથી 43 બિલ્ડિંગના 392 બ્લોકમાં 11,380 વિદ્યાર્થીઓ, ગીર સોમનાથમાં 30 બિલ્ડિંગના 341 બ્લોક પરથી 9,099 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 31 બિલ્ડિંગના 259 બ્લોક પરથી 7,720 વિદ્યાર્થીઓ, જામનગરમાં 25 બિલ્ડિંગના 266 બ્લોક પરથી 7,446 વિદ્યાર્થીઓ, મોરબીમાં 22 બિલ્ડિંગના 199 બ્લોક પરથી 5,837 વિદ્યાર્થીઓ, દેવભૂમિ દ્વારકામાં 6 કેન્દ્રોના 20 બિલ્ડિંગ પરથી 4,896 વિદ્યાર્થીઓ અને પોરબંદરમાં 11 કેન્દ્રના 103 બ્લોક પરથી 2,976 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
