- મૂળ વલસાડના અને દુબઈ સ્થાયી થયેલાં દંપતીનો કિસ્સો
દામ્પત્યજીવનમાં કયારે ઉતાર-ચઢાવ આવી જાય એ દંપતિના મિજાજ પર આધારિત હોય છે. અનેકવાર જીવનની કેડી પર ચાલતા-ચાલાતા નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, પરંતુ ધૈયર્વાન દંપતિ તેમાંથી રસ્તો કાઢતા હોય છે. આવો જ એક કેસ કોર્ટના મિડિયેશન સેન્ટરમાં આવ્યો હતો. જેમાં દુબઇ સ્થાયી થયેલું એક દંપતી જેવું મુંબઇ એરપોર્ટ પર ઉતર્યું કે તેઓ ત્યાંથી જુદા થઈ ગયા હતા અને ત્યાંથી પતિ પોતાના ઘરે અને પત્ની પિયર પહોંચી હતી. બાદમાં કોર્ટના સમાધાનકારી વલણથી સુખદ સમાધાન થયું હતું.
પત્નીએ રિટર્ન ટિકિટ કઢાવી હતી, પણ પતિ પાસે જ રહી ગઈ હતી
વલલાડના આ કિસ્સાની શરૂઆત લગ્ન બાદથી થઈ હતી. બંને દુબઇ સ્થાયી હતા, પરંતુ ત્યાં ઝઘડાની શરૂઆત થતાં બંનેએ થોડા દિવસ માટે વતન આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફ્લાઇટ અ્ને ત્યારબાદ એરપોર્ટ પર ઝઘડો વધતા બંને એરપોર્ટ પરથી જ જુદા થઈ ગયા હતા અને જુદા જ રહેવા લાગ્યા હતા. ઝઘડામાં પત્ની પોતાની દુબઇ રિટર્નની ટિકિટ પણ લેવાનું ભૂલી ગઈ હતી. આ ઘટના બાદ કાનૂની જંગ શરૂ થઈ ગયો હતો.
પતિ સુરત ન આવ્યો તો નવસારીમાં મિટિંગ
દંપતિનો ઝઘડો કોર્ટ બાદ મિડિએશન સેન્ટરમાં પહોંચ્યો અને ત્યાં હિયરિંગમાં હાજર રહેવા માટે પતિને સુરત બોલાવાયો પરંતુ તે હાજર ન રહેતા નવસારી મીડિએશન સેન્ટરની મદદ લેવામાં આવી હતી અને દંપતિ ત્યાં ભેગા થયા હતા અને મિડિએટર મૂકેશ ગજજરની સમજાવટ બાદ સમાધાન થયું હતુ.
હાલના સમયમાં નાના ઝઘડા કોર્ટમાં
એડવોકેટ સોનલ શર્મા કહે છે કે હાલ જ્યાં બધાની લાઇફ સ્ટ્રેસફુલ છે. નાના-નાના ઝઘડાં મોટું સ્વરૂપ લઈ લે છે. ફોન, ખાવાનું કે અન્ય કોઈ વાત હોય અનેકવાર વણસી જતી હોય છે. હાલ કોર્ટોમાં કે અમારી પાસે આવા કેસો વધુ આવે છે.
લગ્નજીવન બચાવવા રાજી થયાં
મિડિએશન સેન્ટરમાં દંપતિ વચ્ચે વાતો થઈ હતી. જુના વિખવાદો ભૂલી જઈને બંને ફરી એક સાથે રહેવા માટે રાજી થઈ ગયા હતા. ખાસ કરીને બંને લગ્નજીવન બચાવવા માગતા હોવાથી આખરે સમંધાન થઈ શક્યું હતું.
