સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં હત્યારા ફેનિલને લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને પાક્કા કામના કેદી તરીકેનો નંબર ફાળવવામાં આવ્યો હતો. ફેનિલને લાજપોર જેલમાંથી કેદી નંબર 2231 ફાળવવામાં આવ્યો છે, સાથે જ કેદીનાં કપડાં પણ આપવામાં આવ્યાં છે.
જેલનાં સૂત્રો પાસેથી વિગતો મળી હતી કે ફાંસીની સજા બાદ પણ ફેનિલને કોઈ રંજ ન હોય એમ જેલમાં તેણે સાંજનું ભોજન લીધું હતું. ફેનિલને હવે ફાંસીના માચડે લટકાવવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે.
ફેનિલની ઓળખ હવે નંબરથી થશે
ગ્રીષ્માની નિર્મમ પણે હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટે ફાંસીની સજા આપી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે જેલ દ્વારા દરેકને એક નંબર આપવામાં આવતો હોય છે. એ મુજબ ફેનિલને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી હવે 2231 નંબરથી ઓળખાશે. જ્યાં સુધી ફાંસીના માચડે ફેનિલને લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે.
સજાનો રંજ ન હોય એમ ભોજન લીધું
લાજપોર જેલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કોર્ટમાંથી ફાંસીની સજા સાંભળીને આવેલો ફેનિલ ગોયાણી થોડીવાર માટે થોડો નર્વસ દેખાયો હતો. જોકે મોડી સાંજે જેલના રૂટિન શેડ્યૂલ પ્રમાણે તેને ભોજન અપાયું હતું. તેણે જમી લીધું હતું. ભોજનમાં ફેનિલને દાળ, ભાત, શાક, રોટલી સહિતનું મેનું આપવામાં આવ્યું હતું.
ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. પોલીસના પુરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.
