300 કરોડના કૌભાંડ કેસ વિપુલ ચૌધરીના રેગ્યુલર જામીન હાઇકોર્ટે ફગાવ્યા, મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટ ગયા હતા

By Abhishek Raghuvanshi
1 Min Read
  • દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન 300 કરોડના કૌભાંડમાં જેલમાં છે

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની શુક્રવારે હાઇકોર્ટે પણ રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 300 કરોડની ગેરરીતિના કેસમાં એસીબીએ કરેલી ફરિયાદ અંતર્ગત હાલ એકાદ મહિનાથી જેલમાં બંધ છે.2015ના વર્ષમાં દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 300 કરોડની કથિત ગેરરીતિ આચરી હોવાની મહેસાણા એસીબીમાં થયેલી ફરિયાદની તપાસ અંતર્ગત ગાંધીનગર એસીબીએ 15 સપ્ટેમ્બરના રોજ તેમની ધરપકડ કરી હતી.

ત્યાર બાદ જામીન નામંજૂર કરી મહેસાણા કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા. શુક્રવારે હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેમાં રાજકીય કિન્નાખોરી રાખી તેમના પર ખોટો કેસ કરાયો હોવાની રજૂઆત તેમના વકીલ દ્વારા કરાઈ હતી. સામે સરકારી વકીલ દ્વારા એસીબીને મળેલા પ્રાથમિક પુરાવા અંગે કોર્ટને જાણ કરાતાં હાઇકોર્ટે વિપુલ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી ફગાવી દીધી હતી.

Exit mobile version