ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ગઈકાલે વડાપ્રધાને સોમનાથ, રાજકોટના ધોરાજીમાં, અમરેલીમાં તેમજ બોટાદમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. જે બાદ આજે વડાપ્રધાન સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં સભાને સંબોધશે. તેઓ આજે બપોરે સુરેન્દ્રનગરના દૂધરેજમાં સૌથી પહેલા સભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશો
- આજે મારૂ સ્વભાગ્ય છે કે, ઝાલાવડની ધરતી પર પહોંચતા જ સંતોના આર્શીવાદ મળ્યાં, ભવ્ય વિજયની શુભકામનાઓ આપી
- સુરેન્દ્રનગરમાં હું છાશવારે આવતો હતો, જોકે, 11 કે 12 વાગ્યે સભા કરવી હોય તો લોઢાના ચણા ચાવવા પડતા હતા
- જ્યા જ્યા મારી નજર પડે છે ત્યાં ત્યાં કેસરીયો સાગર દેખાય છે, આજ બતાવે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનુ નક્કી કરી દીધુ છે
- આ વખતેની ચૂંટણી અમે નથી લડતા પરંતું આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છે
- મે પહેલા કહ્યું હતું કે, નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ જો કોઈ જિલ્લાને મળશે તો તે સુરેન્દ્રનગર જિલ્લાને મળશે, તે આજે લાભ મળી રહ્યો છે
- આ ચૂંટણી નર્મદા જિલ્લાના વિરોધ કરવા વારાને સજા મળે તે માટેની હોવી જોઈએ
સુરેન્દ્રનગરના દૂધરેજમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ભાજપના 5 ઉમેદવારો, આગેવાનો અને હોદેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરના સભા સ્થળે સંબોધન કરવા ઉપસ્થિત રહેવાના છે. આથી તેમની સુરક્ષા માટે પોલીસ ટીમ તૈયાર કરાઈ છે.
ગઈકાલે વડાપ્રધાને સોમનાથ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં સભા સંબોધી હતી
વિકાસ બોલો એટલે ગુજરાત અને ગુજરાત બોલો એટલે વિકાસ: PM મોદી
અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગઈકાલે વડાપ્રધાને જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમરેલીની ધરા સંતો અને સુરાઓની છે, અહીંની કલમ અને તલવાર બંનેમાં ધાર છે. વિકાસની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. અમરેલીમાં એટલો બધો વિકાસ થયો છે કે કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઇ ગયો હોય.અમરેલીએ ઉધોગમાં નવી છબી બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ઉભુ કર્યું છે. છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં ઘણા બદલાવ આવ્યા છે. ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખા મારતુ હતું, પણ હવેની સ્થિતિ કંઇક અલગ છે. પાણીની પૂજા કરો તો પરમાત્મા પણ પાણી વરસાવે છે એમ આપણા બધાની મહેનત જોઇ વરુણ દેવતા પણ અમરેલી પર રાજી થઇ ગયા છે. હવે પાઇપથી ઘરે ઘરે પાણી પહોંચતુ થયું છે.
મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય: PM મોદી
ધોરાજીમાં ગઈકાલે સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બપોરનો સમય હોય, અમારા રાજકોટનો સ્વભાવ છે બપોર એટલે. તેમ છતાં મોટી સંખ્યામાં આવ્યા છો. આજે પ્રત્યેક ગુજરાતી સિંહગર્જના કરી રહ્યો છે કે ફીર એક બાર મોદી સરકાર…. સરવેનો પણ આંકડો કહે છે ફીર એક બાર….મોદી સરકાર. ભાજપની સરકાર ભારે બહુમતિથી બનવાની છે. આનું મૂળ કારણ આ પ્રેમ અને આશીર્વાદ છે. ગત દસકામાં અનેકવાર મને તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય. સાથેસાથે મત માગવા અને હિસાબ આપવા આવ્યો છું. કચ્છ-કાઠિયાવાડના લોકો મારા ટીચર છે, મને ટ્રેનિંગ આપી છે, 2017માં ધોરાજી ચૂકી ગયા’તા, શું ફાયદો થયો?, શું મળ્યું?
પોલિંગ બુથના જૂના બધા રેકોર્ડ તોડવા છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદની પવિત્ર ભૂમી પર છે. દાદાના આશિવાર્દ હોય એટલે જીત પાક્કી જ હોય. હું દોડાદોડ કરૂ છું એ મારૂ કર્તવ્ય છે. આ વખતનો આપડો લક્ષ્યાંક જૂદો છે, આ વખતે નવા નવા રેકોર્ડો તોડવા છે. પહેલો રેકોર્ડ પોલિંગ બુથનો છે. જેમાં આપડે વધુ પ્રમાણમાં મતદાન કરીને જૂના બધા રેકોર્ડ તોડવા છે. તમે સ્પોર્ટ કરો તો મારૂ આવેલુ લેખે લાગે. આ વખતે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને નરેન્દ્ર એને સપોર્ટ કરે એવું કામ તમારે કરવાનું છે. પહેલાં બધા કહેતા હતા કે, ગુજરાતના વેપારીઓ શું કરી શકે, માલ લઇને વેચે અને વચ્ચે દલાલી કરે, પણ આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે.
ભારતીય જનતા પાર્ટી તે વિકાસની ગેરંટી છેઃ વડાપ્રધાન
બોટાદમાં ગઈકાલે વડાપ્રધાને સભા સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપે દીકરીઓ અને બાળકો માટે અભિયાન ચલાવ્યું છે. 20 વર્ષ પહેલા 11 મેડિકલ કોલેજ હતી અત્યારે 36 મેડિકલ કોલેજ છે. 20 વર્ષ પહેલાં સરકારી હોસ્પિટલોમાં 15 હજાર નર્સ હતી આજે 60 હજાર છે. 20 વર્ષ પહેલાં 25 હજાર આંગણવાડીઓ હતી આજે 50 હજાર છે. 20 વર્ષ પહેલાં ત્રણ હજાર મેડિકલની સીટો હતી આજે 6 હજાર 300 જેટલી સીટો છે. ભાજપ સરકારે ગુજરાતમાં એઇમ્સ જેવી હોલ્પિટલ બને તે માટે પ્રયત્નો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી તે વિકાસની ગેરંટી છે, અમે વિકાસના રસ્તે આગળ વધવા માગીએ છીએ. આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું જે અભિયાન ઉપાડ્યું છે તે નકારાત્મકતાથી કોઈનું ભલુ નથી થવાનું. ગુજરાતને બદનામ કરવાવાળા, વારતહેવારે ગુજરાતને ગાળો દેવાવાળા તે આખી જમાતને અહિંથી વિદાય કરવાની છે. જેથી ગુજરાત આપડું વિકાસની નવી ઉંચાઈ પ્રાપ્ત કરે. તે માટે મારે તમારો સાથ અને સહયોગની જરૂર છે.
