
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ધીમે ધીમે વધી રહ્યો છે. રાજકીય પક્ષોનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. AIMIM પક્ષના વડા અસદુદ્દીન ઓવૈસી પણ વિધાનસભા ચૂંટણી માટે બે ગુજરાત આવ્યા હતા. રવિવારે સાંજે અમદાવાદમાં જાહેર સભા યોજ્યા બાદ સોમવારે ઓવૈસી અને તેમના સાથીદારો વંદેભારત ટ્રેનમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. AIMIMના રાષ્ટ્રીય પ્રવકતા વારિસ પઠાણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે જ્યારે ઓવૈસી સુરત જતા હતા ત્યારે આ ઘટના બની છે.
પથ્થર મારીને ટ્રેનની બારીનો કાંચ તોડી નાંખ્યો
AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, સાંજે અસદુદ્દીન ઓવૈસી અને AIMIMની ટીમ અમદાવાદથી સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ જોરથી પથ્થર મારીને ટ્રેનની બારીનો કાંચ તોડી નાંખ્યો હતો. તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી સાથે તસવીરો પણ શેર કરી છે. સુરતની સભામાં પણ વારીસ પઠાણે આકરા પ્રહાર કર્યા હતા કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ક્યારેક જાનવર વ વચ્ચે આવી જાય છે અને હવે પથ્થર ફેંકાય છે. અમારા પર પથ્થર મારો કે આગ વરસાવો પરંતુ હકનો અવાજ રોકાશે નહીં. અમદાવાદથી સુરત અમે આવતા હતા ત્યારે સુરતથી 25 કિલોમીટર પહેલા જ બે જોરદાર પથ્થર ફેંકવામાં આવ્યા અને ટ્રેનના કાચમાં તિરાડ પડી ગઈ હતી.
182માંથી 40થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 40થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ માટે પાર્ટીએ અમદાવાદની ત્રણ અને સુરતની બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પહેલા તેમની પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતુ કે, AIMIM અમદાવાદ શહેરમાંથી 5 બેઠક પરથી ચૂંટણી લડશે. જેમાં બાપુનગર, જમાલપુર અને દાણીલીમડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દરિયાપુર અને વેજલપુર બેઠક પર ઉમેદવાર માટે હજી મથામણ ચાલી રહી છે.
આપ અને બીજેપીની ડીલ
AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસસુદીન ઓવૈસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સુરતમાં અમારી પાર્ટીના ઉમેદવારો જાહેર કર્યા છે. એટલે તેને જીતાડવાની અમે કોશિશ કરીશું. અમારા ઉમેદવારોને સફળતા મળે તેના પ્રયાસો કરીશું. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. છતાં આ પાર્ટી હોવાથી અમને કોઈ ફરક પડતો નથી, કારણ કે, આપ અને બીજેપીની ડીલ થઈ ચૂકી છે. આપ અને બીજેપીની ડીલ છે કે, લોકસભા તમારી વિધાનસભા અમારી.
ભાજપના કેમ્પેઈન પર ઉઠાવ્યા સવાલ
AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ દ્વારા શરૂ કરાયેલું ગુજરાત બનશેના કેમ્પેઈન બાબતે જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પહેલા પણ બનેલું જ હતું અને ભાજપ નહીં હશે તો પણ આગળ વધતું જ રહેશે. ખરેખર ભાજપે મોરબી દુર્ઘટના પર જવાબ આપવાની જરૂર છે. મોરબી બ્રિજ પણ તેમણે જ બનાવ્યો છે. તેની સરકાર જવાબદારી લે અને તેની સામે યોગ્ય જવાબ આપે. ગુજરાતમાં આજે વિકાસના નામે ખોટી રાજનીતિ, બેરોજગારી, મિસ ગવર્નન્સ,મોંઘવારી,સહિત અનેક મુદ્દાઓ છે.તેનેથી પ્રજા ત્રસ્ત છે અને સરકાર સામે સવાલો ઊભા રાખી બેઠી છે.
ભાજપ ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું
ભાજપના કોમન સિવિલ કોડના નિર્ણય સામે પ્રહાર કરતાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે પોતાની ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું છે. ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે સરકારની પરવાનગી મળતી નથી. એક અલ્પસંખ્યક સમાજનો વ્યક્તિ અન્ય ધર્મના વ્યક્તિ પાસે ઘર ખરીદી શકતો નથી. તેઓ શું કોમન સિવિલ કોડની વાત કરે છે? બાળકીઓનું જન્મદર ઓછું છે, આ માટે જવાબદાર કોણ ?બાળકોમાં લોહીની અછત છે ,કોણ જવાબ આપશે? મહિલાઓને એગ્રીકલ્ચર લેન્ડમાં અધિકાર મળશે કે, માત્ર કન્યાદાનના નામે બધું પતી જશે ?આવા અનેક પ્રશ્નો ભાજપ સામે ઊભા કર્યા હતા? વધુમાં જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડની સરકાર વાતો કરે છે તો યુનિફોર્મ સિવિલ ડ્યુટીતે જગ્યાઓમાં તો જોવા મળતી નથી જ્યાં લઘુમતી રહે છે અને દલિત લોકો વસે છે. ભાજપ માટે પોતાની કમીઓ છુપાવવા માટે આ એક તરીકો છે બીજું કાંઈ નથી.
અલ્પસંખ્યક સમાજના લોકોને બહાર લાવીને મારવામાં આવે છે
સરકાર પર વાર પર વાર કરતાં ઓવેસીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અલ્પસંખ્યક સમાજના લોકો સુરક્ષિત નથી. અલ્પસંખ્યક સમાજના લોકોને બહાર લાવીને માર મારવામાં આવ્યો હતો. ગરબાના આયોજનમાં પથ્થર ફેંકવાની ઘટનામાં લઘુમતી સમાજના લોકોને જાહેરમાં લાવીને મારવામાં આવ્યો હતો. અને હવે મોરબીમાં આટલી મોટી બ્રિજ દુર્ઘટના ઘટી છે,અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. તો ત્યાં કોણ સુરક્ષિત છે? આવા સવાલ ઉભા કરીને કહ્યું હતું કે તેમને છાવરવાનું બંધ કરી આંકડા પગલા ભરવાની સરકાર હિંમત બતાવે.
