અડધી રાત્રે ખૂલ્યાં જગતમંદિરનાં દ્વાર:450 કિલોમીટરની પદયાત્રા કરી 25 ગાય કચ્છથી દ્વારકા પહોંચી, 17 દિવસના પ્રવાસ પછી કામધેનુએ કાનુડાનાં દર્શન કર્યાં

By Abhishek Raghuvanshi
4 Min Read

કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભકત મહાદેવ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી રોગ થતાં તેમણે માનતા માની કે ‘હે કાળિયા ઠાકર… મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. માવજીભાઈની માનતા ફળી અને તેમની 25 જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને અન્ય ગાયોમાં આ રોગનો ફેલાવો પણ ન થયો, જેથી તેઓ તેમની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.

ગાયોને દર્શન આપવા મધરાત્રે જગતમંદિરનાં દ્વાર ખૂલ્યાં
કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી તેઓ દ્વારકા આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યારે સવાલ એ હતો કે તેમને દિવસે તો દર્શન કઈ રીતે કરાવવા, કેમ કે દિવસે તો દર્શાનાથીઓની ભીડ જામેલી હોય છે. તેવામાં આટલી બધી ગાયોને અંદર કઈ રીતે લઈ જવી? ત્યાર બાદ વહીવટી તંત્રએ સ્પેશિયલ ગાયોનાં દર્શન કરવા માટે રાત્રે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. દ્વારકા મંદિરમાં પહેલી વખત એવું બન્યું કે ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં અને 450 કિમી પગપાળા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં. મોડી રાત્રિએ જગતમંદિરમાં આ ઘટના જોઈ સૌકોઈ ભાવવિભોર થઈ ગયા હતા અને તેમને કાનુડાનો ગાય પ્રત્યેનો પ્રેમસંબંધ યાદ આવ્યો હતો.

દ્વારકા આવેલી 25 ગાયે પરિક્રમા કરી
માવજીભાઈ 25 ગાય અને 5 ગોવાળ સાથે 17 દિવસનું અંતર કાપીને 21મી નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. જે ગાયો પગદંડી પર કાચા રસ્તામાં ચાલતી હોય તે હાઈવે પર પાકા રસ્તામાં ચાલીને દ્વારકા મંદિરે 450 કિલોમિટર કાપી પહોંચે એ એક ચમત્કાર જ કહી શકાય. જગતમંદિરે પહોંચી ગાયોએ કાળિયા ઠાકરનાં દર્શન કરી મંદિરની પરિક્રમા કરી હતી. ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે એકસાથે 25 ગાય આટલા કિલોમીટર ચાલીને મંદિરે દર્શન કર્યાં હોય. આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત કર્યા હતા.

આ દૃશ્ય જોઈ દ્વારકાનગરી ભાવવિભોર બની
ભગવાન દ્વારકાધીશને ગૌપાલક કહેવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને ગાયો ખૂબ વહાલી હતી અને તેમને હંમેશાં ગાયો વચ્ચે જ જોવામાં આવે છે. ત્યારે લમ્પી નામનો ભયંકર રોગ ગાયોમાં થતાં ભગવાન શ્રીકૃષ્ણ પણ નિરાશ થયા હોય એ સ્વાભાવિક છે. ત્યારે તાજેતરમાં બનેલી આ ઘટનાએ આખી દ્વારકાનગરીને ભાવવિભોર બનાવી દીધી છે. આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાઇરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા. એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાનાં પશુધનને આ ઘાતક વાઇરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી કે ‘ હે કાળિયા ઠાકર… મારી ગાયોને લમ્પીથી બચાવી લેજે, તો ગાયોને પગપાળા લઈ આવીને તમારાં દર્શન કરાવીશ.’

- Advertisement -

દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી
કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાય હતી અને એમાં કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. પોતાના પાંચ ગૌસેવક અને 25 ગાયની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવ દેસાઈએ જગતમંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઘટના જગતમંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટી છે અને વહીવટી તંત્રએ ગાયો માટે જગતમંદિરનાં દ્વાર ખોલી લોકોની સાથે ગૌધન માટે સારું કાર્ય કરતા લોકોએ પ્રશંસા કરી હતી.

Exit mobile version