હજુ ચોમાસું જામશે:અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં ધોધમાર વરસાદ

By Abhishek Raghuvanshi
3 Min Read
https://timenews.today/img/2022/07/My-Video13-3.mp4
  • રાજ્યમાં સીઝનનો કુલ 58 ટકા સાથે 19 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બીજી બાજુ, સૂકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જેને પરિણામે પીવાના પાણની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 19.51 ઈંચ સાથે સીઝનનો 58.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે છાંટા પડી રહ્યા છે. વરસાદી વાતાવરણને કારણે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં છે.

હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાના સંકેતો પણ હવામાન વિભાગે આપ્યા છે. સવારથી અમદાવાદમાં સરખેજ, સનાથલ, નવાપુરા, બાકરોલ વિસલપુર અને કાસિન્દ્રા સહિત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો.

છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં બોડેલીમાં સાડાચાર ઈંચ, વાઘોડિયામાં ત્રણ ઈંચ, વડોદરામાં બે ઈંચ, સંખેડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તિલકવાડા, પાદરા અને કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, તમામ 33 જિલ્લાના 137 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યના કચ્છ ઝોનમાં સીઝનનો 104 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 57.77 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.65 ટકા વરસાદ અત્યારસુધીમાં પડ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 58 ટકા વરસાદ વરસ્યો છે.

- Advertisement -

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે
ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે,ભારે વરસાદની આગાહી નથી.

બોડેલીમાં ગઈકાલે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના દરિયાકાઠેથી મોટું સંકટ ટળ્યું
ઓખા ખાતે ગુજરાતના દરિયાકિનારથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં વાવઝોડાને કારણે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં ઓમાનના દરિયાકાંઠા તરફ ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રને પાર કરવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પૂર્વોત્તર અરબી સમુદ્ર પર દબાણ ઝોન છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું સમાપ્ત ન થાય ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.

Exit mobile version